અમદાવાદ શહેરના વેજલપુર-સરખેજ વિસ્તાર નજીક આવેલા ફતેવાડી પંથકમાં ફાયરિંગની સનસનાટીભરી ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. જૂની અદાવત અને ફરિયાદીની પત્ની સાથેના પ્રેમ સંબંધની તકરારમાં પિસ્તોલ જેવા ઘાતક હથિયારથી યુવક પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ હુમલામાં જાવેદ પઠાણ નામના વ્યક્તિને ગોળી વાગતાં તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં ભારે ભાગદોડ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઈજાગ્રસ્ત જાવેદ પઠાણ હોસ્પિટલમાં સારવાર હેઠળ
ગોળી વાગવાથી ગંભીર રીતે ઘવાયેલા જાવેદ પઠાણને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ નાજુક હોવાનું કહેવાઈ રહ્યું છે. ફાયરિંગની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને વિસ્તારને કોર્ડન કરીને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.
