ઐતિહાસિક રથયાત્રાની સુરક્ષાને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે 'સંદેશ ન્યૂઝ' સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે, રથયાત્રાના રૂટ પર કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે શહેર પોલીસ સજ્જ છે. આ ભવ્ય બંદોબસ્તમાં 1,000થી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત કુલ 30,000 કરતાં પણ વધારે પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. આ ઉપરાંત, સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે એસઆરપી (SRP)ની 15 કંપનીઓ અને પેરા મિલિટરી ફોર્સની 9 કંપનીઓ પણ સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરી દેવામાં આવી છે.
હાઈટેક ઉપકરણોથી થશે મોનિટરિંગ
આ વર્ષે રથયાત્રામાં સુરક્ષાના ભાગરૂપે આધુનિક ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. કમિશનરે જણાવ્યું કે, સમગ્ર રૂટ પર બાજ નજર રાખવા માટે 65 ડ્રોન, સેંકડો સીસીટીવી (CCTV) કેમેરા, ફેસ રેકોગ્નિશન કેમેરા અને જવાનો માટે બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરાશે. શંકાસ્પદ અસામાજિક તત્વો અને અગાઉના ગુનેગારોને ત્વરિત ઓળખવા માટે તેમના ફોટા સાથેનો એક ખાસ ડિજિટલ ડેટા તૈયાર કરવામાં આવ્યો છે. જેનાથી કંટ્રોલ રૂમ દ્વારા દરેક હિલચાલ પર સીધી નજર રાખી શકાશે.
