ઐતિહાસિક રથયાત્રાની સુરક્ષાને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે 'સંદેશ ન્યૂઝ' સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે, રથયાત્રાના રૂટ પર કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે શહેર પોલીસ સજ્જ છે. આ ભવ્ય બંદોબસ્તમાં 1,000થી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત કુલ 30,000 કરતાં પણ વધારે પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. આ ઉપરાંત, સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે એસઆરપી (SRP)ની 15 કંપનીઓ અને પેરા મિલિટરી ફોર્સની 9 કંપનીઓ પણ સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરી દેવામાં આવી છે.

હાઈટેક ઉપકરણોથી થશે મોનિટરિંગ

આ વર્ષે રથયાત્રામાં સુરક્ષાના ભાગરૂપે આધુનિક ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. કમિશનરે જણાવ્યું કે, સમગ્ર રૂટ પર બાજ નજર રાખવા માટે 65 ડ્રોન, સેંકડો સીસીટીવી (CCTV) કેમેરા, ફેસ રેકોગ્નિશન કેમેરા અને જવાનો માટે બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરાશે. શંકાસ્પદ અસામાજિક તત્વો અને અગાઉના ગુનેગારોને ત્વરિત ઓળખવા માટે તેમના ફોટા સાથેનો એક ખાસ ડિજિટલ ડેટા તૈયાર કરવામાં આવ્યો છે. જેનાથી કંટ્રોલ રૂમ દ્વારા દરેક હિલચાલ પર સીધી નજર રાખી શકાશે.

અફવાઓથી બચવા પોલીસની અપીલ

રથયાત્રા શહેરના મુખ્ય 11 જેટલા પોલીસ સ્ટેશનની હદમાંથી પસાર થાય છે, જેથી તે તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સ્થાનિક શાંતિ સમિતિ અને મહોલ્લા કમિટીઓની બેઠકો યોજીને કોમી ભાઈચારો જાળવવા તજવીજ કરાઈ છે. રથયાત્રા દરમિયાન સોશિયલ મીડિયા પર કોઈ ગેરમાર્ગે દોરનારી અફવા ન ફેલાય તે માટે સાયબર ક્રાઈમ સેલને પણ એલર્ટ મોડ પર રખાયો છે. પોલીસ કમિશનરે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ કોઈ પણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન કરે અને શંકાસ્પદ બાબત જણાયે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો