ગુજરાતના શૈક્ષણિક અને રાજકીય આલમમાં 'મંત્રી વિરુદ્ધ શિક્ષકો' વિવાદનો આખરે સત્તાવાર અંત આવ્યો છે. રાજ્યના મંત્રી રમેશ કટારા દ્વારા શિક્ષકોના પગાર પંચ અને તેમની નૈતિકતા પર કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીથી સમગ્ર રાજ્યના શિક્ષકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. જો કે, ચારેબાજુથી ઘેરાયેલા અને સંગઠનોના અલ્ટીમેટમનો સામનો કરી રહેલા મંત્રી રમેશ કટારાએ આખરે મોડી રાત્રે પોતાના નિવેદન બદલ દિલગીરી વ્યક્ત કરી માફી માંગી લીધી છે.


શું હતું સમગ્ર વિવાદિત નિવેદન?

ઉલ્લેખનીય છે કે, એક જાહેર મંચ પરથી મંત્રી રમેશ કટારાએ આશ્ચર્યજનક નિવેદન આપતા કહ્યું હતું કે, "સરકાર દ્વારા ૮મું અને ૯મું નાણાપંચ/પગારપંચ મળતું હોવા છતાં શિક્ષકોની ભૂખ મટતી નથી અને તેઓ વારંવાર ધરણાં કે રેલીઓ કરે છે." મંત્રીના આ નિવેદન બાદ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સહિતના મોટા કિસાન અને શૈક્ષણિક સંગઠનો લાલચોળ થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર મંત્રીના સામાન્ય જ્ઞાન અને તેમની ભાષા શૈલી પર લાખો શિક્ષકોએ આકરા પ્રહારો શરૂ કર્યા હતા, જેને પગલે ગાંધીનગર સચિવાલય સુધી ગરમાવો આવી ગયો હતો.

ડેમેજ કંટ્રોલ મોડમાં મંત્રીની સ્પષ્ટતા

ગાંધીનગરના સૂત્રોના જણાવ્યા અનુસાર, શૈક્ષણિક સંઘોના આક્રોશ અને આગામી સમયમાં યોજાનારી ડિજિટલ સ્ટ્રાઈકને જોતાં શાસક પક્ષના ઉચ્ચ નેતાઓએ મંત્રીને વિવાદ વહેલી તકે શાંત કરવા કડક આદેશ આપ્યા હતા. આથી, મંત્રી રમેશ કટારાએ આજે સત્તાવાર રીતે જણાવ્યું છે કે, "મારા દ્વારા જે નિવેદન અપાયું હતું તે કોઈને ઠેસ પહોંચાડવા માટે નહોતું. શિક્ષક એ સમાજનો આદરણીય ભાગ છે અને રાષ્ટ્રના નિર્માણમાં તેમનો ફાળો અતુલ્ય છે. જો મારા શબ્દોથી શિક્ષક સમાજ કે કોઈ સંગઠનની લાગણી દુભાઈ હોય, તો હું મારા એ શબ્દો પાછા ખેંચું છું અને હૃદયપૂર્વક માફી માંગું છું." મંત્રીના આ સત્તાવાર માફીનામા બાદ શૈક્ષણિક મહાસંઘે આંદોલનના આક્રમક કાર્યક્રમો પર હાલ પૂરતી બ્રેક લગાવી દીધી છે.

આ પણ વાંચો: Palitana: શેત્રુંજય ગેટ વિસ્તારમાં જૂથ અથડામણમાં યુવકની હત્યા, શહેરમાં અજંપાભરી શાંતિ


  • Follow us on: