અમદાવાદના નારણપુરામાં 16 વર્ષની સગીરા સાથે બે વ્યક્તિઓએ દુષ્કર્મ આચર્યું હોવાની ચકચારી ઘટના સામે આવી હતી. આ ઘટનામાં પ્રથમ આરોપીએ સગીરાને પ્રેમ સંબંધમાં ફસાવીને શારીરિક સંબંધો બાંધ્યા હતાં. જ્યારે અન્ય આરોપીએ આ બાબતની જાણ થતાં સગીરાને બ્લેકમેલ કરીને અનેકવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. પોલીસે ફરિયાદના આધારે બંને આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસમાં કોર્ટે બીજા નંબરના આરોપી પિયુષ જેઠવાને દોષિત ઠેરવી 20 વર્ષની કેદની સજા ફટકારી છે અને પીડિતાને ચાર લાખ રૂપિયાનું વળતર આપવા આદેશ કર્યો છે.
સગીરા સાથે પ્રેમ સંબંધમાં શારીરિક સંબંધો બાંધ્યા
આ ઘટના વર્ષ 2024માં સામે આવી હતી. શહેરના નારણપુરા વિસ્તારમાં રહેતી સગીરા સોશિયલ મીડિયા મારફતે આરોપી જયેશ પરમારના સંપર્કમાં આવી હતી. આરોપીએ સગીરા સાથે પ્રેમ સંબંધમાં શારીરિક સંબંધો બાંધ્યા હતાં. આ બાબતની જાણ સગીરાના પાડોશમાં રહેતા પિયુષ જેઠવા નામના શખ્સને થઈ હતી. તેણે સગીરાને બ્લેક મેઈલ કરીને તેની સાથે અલગ અલગ જગ્યાએ અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. આ સગીરા જયેશ પરમાર નામના શખ્સ સાથે ઘરેથી ભાગી ગઈ હતી.પોલીસે બંને જણાને કચ્છમાંથી ઝડપી પાડ્યા હતાં.
