વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે તેમના જીવનના 76 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. આ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના જાહેર જીવન અને સુશાસનના 25 વર્ષ (મુખ્યમંત્રીથી વડાપ્રધાન) ની સફળ સફરને બિરદાવવા માટે 17 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી રાષ્ટ્રવ્યાપી "સેવા સંકલ્પ અભિયાન" નું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે 'વડનગરથી વારાણસી' અને 'વારાણસીથી વડનગર' એમ બે સમાંતર વિશાળ બાઇક યાત્રાઓ યોજાશે.

પીએમ મોદીના જન્મદિવસે ભાજપનો મોટો ધડાકો

રાષ્ટ્રીય પ્રભારી અને લોકસભા સાંસદ વી.ડી. શર્માના જણાવ્યા મુજબ, 17 સપ્ટેમ્બરે સવારે 9:30 વાગ્યે વડનગર ખાતેથી ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ યાત્રાને લીલી ઝંડી આપશે. જ્યારે કાશી (વારાણસી) ખાતેથી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુ અને ચિરાગ પાસવાન યાત્રાનો પ્રારંભ કરાવશે.

વડનગર અને વારાણસીથી શરૂ થશે મેગા બાઇક યાત્રા

આ બાઇક યાત્રા દેશના 10 રાજ્યોના 193 જિલ્લાઓ અને 1,159 ગામડાંઓમાંથી પસાર થઈને કુલ 40,000 કિલોમીટરથી વધુનું અંતર કાપશે. દેશભરમાંથી પસંદ કરાયેલા 1,000 જેટલા યુવાનો આ બાઇક યાત્રામાં જોડાયા છે.રાજકીય પંડિતોના મતે આ યાત્રા માત્ર એક સામાજિક કે સેવાકીય કાર્યક્રમ નથી, પરંતુ ભાજપનો એક મોટો રાજકીય માસ્ટરસ્ટ્રોક છે. વડનગર (જન્મસ્થળ) અને વારાણસી (કર્મસ્થળ) બંને શહેરો વચ્ચે બૌદ્ધ વિરાસત (સારનાથ અને વડનગર ખોદકામ) તેમજ કુરમી-પાટીદાર સામાજિક સમીકરણોનું મોટું સામ્ય છે. આ યાત્રા આગામી સમયમાં ઉત્તર પ્રદેશ અને ગુજરાતની ચૂંટણીઓમાં યુવા મતદારોને ભાજપ સાથે જોડવામાં મોટી ભૂમિકા ભજવશે.

આ પણ વાંચો: Ahmedabad: ભાઈના જન્મદિવસે ઘર છોડ્યું,, HCએ 3 દાયકા બાદ 67 વર્ષીય પતિને આપ્યા છૂટાછેડા