અમદાવાદ શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને જળબંબાકારની સ્થિતિને ધ્યાને રાખીને અમદાવાદ પોલીસ વિભાગ દ્વારા શહેરીજનોની સુરક્ષા માટે ખાસ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. શહેરના માર્ગો પર પાણી ભરાવાની અને ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે પોલીસ તંત્ર એલર્ટ મોડ પર મૂકાયું છે. શહેરીજનોની સુરક્ષા અને સલામતી જળવાઈ રહે તે હેતુથી અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા તમામ નાગરિકોને ખાસ સાવચેતી રાખવા માટે જાહેર અપીલ કરવામાં આવી છે.

નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ

પોલીસ કમિશનરશ્રીએ નાગરિકોને વિનંતી કરતાં જણાવ્યું છે કે, ભારે વરસાદ દરમિયાન ખૂબ જ જરૂરી અથવા કટોકટીનું કામ ન હોય ત્યાં સુધી ઘરમાં જ રહેવું અને બિનજરૂરી પ્રવાસ ટાળવો. પાણી ભરાયેલા રસ્તાઓ, અન્ડરપાસ અને નીચાણવાળા વિસ્તારોમાંથી પસાર થતી વખતે વિશેષ કાળજી રાખવી. આ ઉપરાંત, વીજળીના થાંભલા, ખુલ્લા વાયરો અને પાણીથી ભરેલા ખાડાઓથી દૂર રહેવા માટે લોકોને સૂચના આપવામાં આવી છે, જેથી કોઈપણ અણબનાવ કે દુર્ઘટનામાંથી બચી શકાય.

ઈમરજન્સી સમયે પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા વિનંતી

પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગેહલોતે વધુમાં ઉમેર્યું હતું કે, શહેરના તમામ સંવેદનશીલ વિસ્તારો અને મુખ્ય ચારરસ્તાઓ પર પોલીસ અને ટ્રાફિક પોલીસના જવાનો સતત તૈનાત છે. ભારે વરસાદમાં ફસાયેલા કે મુશ્કેલીમાં મુકાયેલા કોઈ પણ નાગરિક તાત્કાલિક મદદ માટે 112 અથવા પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે છે. તંત્ર અને પોલીસ વિભાગ નાગરિકોની સેવા અને સલામતી માટે 24 કલાક કટિબદ્ધ છે, જેથી પ્રજાજનોને પણ તંત્રની સૂચનાઓનું પાલન કરી સહયોગ આપવા વિનંતી કરાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો