અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી પ્રખ્યાત સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શાળા પરિસરમાં ચાલી રહેલી કેન્ટીનમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા ચકાસવા માટે આ તપાસ હાથ ધરાઈ હતી. ચેકિંગ દરમિયાન કેન્ટીનમાં ભારે અસ્વચ્છતા અને અત્યંત અણછાજતી તથા અનહાઇજીનિક પરિસ્થિતિ જોવા મળી હતી. શાળામાં અભ્યાસ કરતા નાના માસૂમ બાળકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થતાં હોવાનું સામે આવતાં ફૂડ વિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતાં કડક કાર્યવાહી

કેન્ટીન સંચાલકો દ્વારા સ્વચ્છતાના નિયમો અને આરોગ્ય વિષયક ધોરણોનું પાલન કરવામાં આવતું ન હોવાનું સ્પષ્ટ જણાતાં ફૂડ વિભાગે ત્વરિત અને આકરી કાર્યવાહી કરી હતી. સ્થળ પર જ કેન્ટીનને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા ખોરાક અને રસોડાની જગ્યામાં જોવા મળેલી ગંદકીને કારણે આરોગ્ય તંત્ર દ્વારા આ આકરું પગલું ભરવામાં આવ્યું છે.

શહેરની અન્ય શાળાઓ અને કેન્ટીન સંચાલકોમાં ફફડાટ

સેન્ટ ઝેવિયર્સ જેવી નામાંકિત શાળાની કેન્ટીનમાંથી અસ્વચ્છતા મળી આવતાં અને તેને સીલ કરી દેવાતાં સમગ્ર અમદાવાદ શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ કાર્યવાહી બાદ વાલીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું હોય તેવું લાગી છે. મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે બાળકોના સ્વાસ્થ્ય સાથે સમાધાન કરનાર કોઈપણ સંસ્થાઓ કે કેન્ટીન સામે આગામી દિવસોમાં પણ આવી જ રીતે આકરા પગલાં લેવાનું ચાલુ રાખવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો