અમદાવાદ શહેરમાં તાજેતરમાં પડેલા વરસાદ બાદ ઠેર-ઠેર ભુવાઓ પડવાની ભરમાર સર્જાઈ છે.વરસાદે વિરામ લીધો હોવા છતાં પણ શહેરીજનો અને વાહનચાલકોની હાલાકી યથાવત જોવા મળી રહી છે.નહેરુનગરથી પાંજરાપોળ તરફ જતાં BRTS ટ્રેક પર પણ મોટો ભુવો પડતાં અને રસ્તો જોખમી બનતાં વાહનચાલકોની સુરક્ષા માટે આ રોડ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે.રસ્તાઓ બંધ થવાના કારણે આ વ્યસ્ત માર્ગ પરથી પસાર થતાં દૈનિક મુસાફરો ભારે પરેશાની અને ટ્રાફિક જામનો સામનો કરી રહ્યા છે.
વસ્ત્રાપુરમાં સરકારી વસાહત નજીકનો મુખ્ય રોડ બેસી ગયો
શહેરના પોશ વિસ્તાર ગણાતા વસ્ત્રાપુરમાં સરકારી વસાહત નજીકનો મુખ્ય રોડ પણ વરસાદી પાણીમાં ધોવાઈ જતાં જમીનમાં બેસી ગયો છે.વરસાદી પાણી ઓસરતાં જ મનપા દ્વારા કરવામાં આવેલા રોડ-રસ્તાના કામોની પોલ ખુલ્લી પડી ગઈ છે.વરસાદ બાદ આ રસ્તો અત્યંત બિહામણો અને જોખમી બની જતાં અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.જેને પગલે સ્થાનિકો દ્વારા વાહનચાલકોને આ માર્ગ પરથી પસાર થતી વખતે વિશેષ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.કરોડો રૂપિયાના ખર્ચે બનતા રસ્તાઓ માત્ર એક જ વરસાદમાં ધોવાઈ જતાં અથવા બેસી જતાં નાગરિકોમાં મનપાના ભ્રષ્ટ અને નબળા વહીવટ પ્રતી ભારે રોષ જોવા મળી રહ્યો છે.
