અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં આવેલા સુભાષબ્રિજ ખાતે ગત રાત્રે 2 વાગ્યાના સુમારે સસનાટીભરી હત્યાની ઘટના સામે આવી છે. રોયલ મિલના છાપરા પાસે રહેતા અજય સાલ્વી નામના યુવક પર ટેમ્પોમાં આવેલા 10 જેટલા હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

રાણીપ વિસ્તારમાં સસનાટીભરી હત્યા

પ્રાથમિક માહિતી અનુસાર, 3 દિવસ અગાઉ સુભાષબ્રિજ ખાતે અજય સાલ્વી સાથે અંકિત અને અન્ય એક યુવકને બબાલ થઈ હતી. એ સમયે આરોપીઓએ અજયને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગત રાત્રે જ્યારે અજય સુભાષબ્રિજ પાસે ચા પીવા માટે ઊભો હતો, ત્યારે આરોપીઓ ટેમ્પો લઈને ધસી આવ્યા હતા.

છરીના 15 થી વધુ ઘા ઝીંકી દીધા

આરોપીઓને હથિયારો સાથે જોઈને અજય સાલ્વી પોતાનો જીવ બચાવવા માટે ભાગ્યો હતો. જોકે, સુભાષબ્રિજ સર્કલ પાસે તે નીચે પડી જતાં આરોપીઓએ તેને ઘેરી લીધો હતો. રાણીપ પોલીસ ચોકીની બિલકુલ સામે જ આરોપીઓએ તલવાર અને છરીના પીઠ અને શરીરના ભાગે 15 થી વધુ ઘા ઝીંકી દીધા હતા. હુમલો એટલો ઘાતકી હતો કે યુવકનું આંતરડું બહાર આવી ગયું હતું અને ઘટનાસ્થળે જ તેનું કરૂણ મોત નીપજ્યું હતું.

મૃતકનો ઈતિહાસ અને પોલીસ કાર્યવાહી

 મૃતક અજય સાલ્વી સામે સાબરમતી અને રાણીપ સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશન (દારૂબંધી) ના ગુનાઓ અગાઉ દાખલ થયેલા છે.ઘટનાની જાણ થતાં જ રાણીપ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આરોપી અંકિત અને તેના સાથીદારો સામે ગુનો નોંધી તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: 'Congress ઓફિસમાં પાપ થયું, સોનિયા ગાંધીને જનતા માફ નહીં કરે', 'વંદે માતરમ'ના અપમાન પર અમિતશાહનો હુંકાર