સુરતમાં તાજેતરમાં દૂષિત ખોરાકના કારણે 5 વર્ષની અબુધ બાળકીના કમકમાટીભર્યા મોતની ઘટના સામે આવ્યા બાદ સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. આ દુર્ઘટનાને પગલે સુરતના વરાછા વિસ્તારના ધારાસભ્ય કિશોર કાનાણીએ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાને એક કડક પત્ર લખીને ભેળસેળિયાઓ સામે માત્ર કામચલાઉ નહીં, પરંતુ કાયમી અને કડક ઉકેલ લાવવા રજૂઆત કરી છે.
સીલ મારવાથી કે નોટિસ આપવાથી કાયમી પરિણામ નહીં મળે
ધારાસભ્ય કાનાણીએ પત્રમાં જણાવ્યા મુજબ, હોટેલો અને રેસ્ટોરન્ટ્સમાં ચાલી રહેલા હાલના ચેકિંગ અભિયાનને આવકાર્ય ગણાવ્યું છે, પરંતુ સાથે જ દાવો કર્યો છે કે, માત્ર એકમોને સીલ મારવા, દંડ ફટકારવો કે અખાદ્ય સામગ્રીનો નાશ કરવાથી કાયમી સમસ્યાનો ઉકેલ આવવાનો નથી. થોડા દિવસોની ઝુંબેશ પૂરી થયા બાદ ફરીથી સ્થિતિ 'જેસે થે' થઈ જતી હોવાથી લોકોના આરોગ્ય સાથે રમત રમતા માફિયાઓ ફરી બેફામ બની જાય છે.

અત્યાર સુધી પકડાયેલા ભેળસેળિયાઓ સામે શું પગલાં લેવાયા?
પોતાના પત્રમાં ધારાસભ્યએ મંત્રી સમક્ષ તીખા સવાલો કર્યા છે કે, અત્યાર સુધીમાં જેટલા પણ બેફામ ભેળસેળ કરતા કૌભાંડીઓ પકડાયા છે, તેમની સામે કાયદાકીય રીતે કયા કડક અને નક્કર પગલાં લેવામાં આવ્યા છે, તેની ચોક્કસ વિગતો જાહેર કરવી જોઈએ. કડક કાયદાકીય જોગવાઈઓના અભાવે જ ખાદ્ય પદાર્થોમાં બનાવટ કરતા તત્વોને મોકળું મેદાન મળી રહ્યું હોવાનો ગંભીર આક્ષેપ પણ તેમણે કર્યો છે.

રાજ્યમાં કડક કાયદો બનાવી ચુસ્ત અમલ કરવાની ઉગ્ર રજૂઆત
સુરત અને સમગ્ર ગુજરાતના નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે ધારાસભ્ય કાનાણીએ રાજ્ય સરકાર પાસે માગ કરી છે કે, આવી ગેરકાયદે અને જીવલેણ પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે રાજ્યમાં તાત્કાલિક અસરથી એક અતિ કડક કાયદો બનાવવામાં આવે. આ કાયદાનો ચુસ્તપણે અમલ કરીને લોકોના જીવન સાથે ચેડાં કરતા અસામાજિક તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી તેમણે ભારપૂર્વક અપીલ કરી છે.
આ પણ વાંચો - Surat News : દમણના નામચીન બુટલેગર રમેશ ઉર્ફે માઈકલ પર PASA, સુરત ગ્રામ્ય LCBએ દબોચ્યો