અમદાવાદ ગ્રામ્યના માંડલ પંથકમાં છેલ્લા બે દિવસથી વરસેલા મુશળધાર વરસાદે ભારે તારાજી સર્જી હતી. ગુરુવારે માંડલ ગામમાં ચારેકોર જળબંબાકારના ભયાનક દ્રશ્યો જોવા મળ્યા હતા. જોકે, શુક્રવારે વરસાદે વિરામ લેતાં જ રોડ-રસ્તા પર ભરાયેલા વરસાદી પાણી ધીમે-ધીમે ઓસરવાનું શરૂ થયું છે. પાણી ઉતરતા તંત્ર અને સ્થાનિક રહીશોએ થોડો રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ બે દિવસના સતત વરસાદે સમગ્ર વિસ્તારના જનજીવનને ભારે અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે.
એસ.ટી. બસ અને ખાનગી પરિવહન ઠપ
ભારે જળબંબાકારના કારણે માંડલમાં એસ.ટી. બસ સેવાના તમામ રૂટ રદ કરી દેવામાં આવ્યા હતા તેમજ ખાનગી પરિવહન સેવાઓ પણ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી. પાણી ભરાવાને કારણે વિરમગામ અને દસાડાને જોડતા મુખ્ય માર્ગો બંધ થઈ જતાં અમદાવાદ સહિત અન્ય શહેરો તરફ જવા માગતા અસંખ્ય લોકો અને મુસાફરો વચ્ચે રસ્તે અટવાઈ પડ્યા હતા. આ ઉપરાંત, શુક્રવાર સવારથી જ સમગ્ર માંડલ ગામમાં ઇન્ટરનેટ અને મોબાઇલ કનેક્ટિવિટી પણ સંપૂર્ણપણે ખોરવાઈ જતાં લોકોનો સંપર્ક કપાઈ ગયો હતો.
