અમદાવાદ શહેરમાં વરસાદી માહોલની વચ્ચે પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. જુલાઈ મહિનાના પ્રથમ પખવાડિયામાં જ દૂષિત પાણીના કારણે નાગરિકો બીમારીનો ભોગ બની રહ્યા છે અને હોસ્પિટલો ઉભરાવા લાગી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડાઓ મુજબ, શહેરમાં ઝાડા-ઉલ્ટી અને ટાઈફોઈડ જેવા પાણીજન્ય રોગોના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે, જેણે તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે.

ઝાડા-ઉલ્ટી અને ટાઈફોઈડના કેસોનો રાફડો

જુલાઈના શરૂઆતના પંદર દિવસમાં જ શહેરમાં ઝાડા-ઉલ્ટીના અધધ 196 કેસ નોંધાઈ ચૂક્યા છે. આ સાથે જ પાણીથી ફેલાતા ગંભીર તાવ એટલે કે ટાઈફોઈડના પણ 127 કેસ સરકારી ચોપડે નોંધાયા છે. પૂર્વ અને મધ્ય ઝોન સહિતના અનેક વિસ્તારોમાં દૂષિત પાણીની ફરિયાદો વચ્ચે આ રોગચાળો ઝડપથી વકરી રહ્યો છે. સામાન્ય નાગરિકો તાવ, નબળાઈ અને પેટના દુખાવા જેવી તકલીફો સાથે ખાનગી તેમજ સરકારી દવાખાનાઓ તરફ દોડી રહ્યા છે.

પાણીના 26 સેમ્પલ ફેલ, ક્લોરિનની માત્રા 'નીલ'

રોગચાળો ફાટી નીકળવા પાછળનું મુખ્ય કારણ પીવાના પાણીની ગુણવત્તા હોવાનું પુરવાર થયું છે. જુલાઈ મહિનામાં અત્યાર સુધીમાં લેવામાં આવેલા પીવાના પાણીના નમૂનાઓમાંથી 26 સેમ્પલ બિનઆરોગ્યપ્રદ સાબિત થયા છે એટલે કે ફેલ થયા છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ પૈકીના 22 સેમ્પલમાં ક્લોરિનની માત્રા બિલકુલ શૂન્ય એટલે કે 'નીલ' જોવા મળી છે. ક્લોરિનેશનના અભાવે જંતુયુક્ત પાણી લોકોના ઘર સુધી પહોંચી રહ્યું છે, જે બીમારી ફેલાવવાનું મુખ્ય કારણ બન્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો