અમદાવાદની જગન્નાથજીની રથયાત્રાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુનાહિત તત્વો માથું ન ઊંચકે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અમદાવાદ પોલીસ કમિશનરની સૂચનાથી શહેરના તમામ ઝોનમાં એન્ટી-ક્રાઇમ ઓપરેશન તેજ કરવામાં આવ્યા છે. આ અંતર્ગત મોડી રાત્રે ઝોન-2 પોલીસ સબ-ડિવિઝનના એસીપી અને તમામ પીઆઈ (PI) સહિતના મોટા કાફલાએ પોતાના વિસ્તારોમાં સરપ્રાઈઝ નાઇટ કોમ્બિંગ હાથ ધર્યું હતું. પોલીસે મધરાતે રસ્તાઓ બ્લોક કરી અને સંવેદનશીલ ગલીઓમાં કિલ્લાબંધી કરીને શંકાસ્પદ ઇસમો અને વાહનોનું એરટાઇટ ચેકિંગ શરૂ કર્યું હતું.

વાહન ચાલકો અને ભાડુઆતો સામે લાલ આંખ

આ આખી રાત ચાલેલા મેગા સર્ચ ઓપરેશનમાં પોલીસે હાઈવે અને આંતરિક રસ્તાઓ પરથી પસાર થતા કુલ 666 વાહનોને અટકાવીને તેમનું વેરિફિકેશન કર્યું હતું. ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા 21 વાહનચાલકોને સ્થળ પર જ મેમા આપીને રૂ. 16,000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો, જ્યારે કાયદેસરના કાગળો ન ધરાવતી 11 ગાડીઓને ડિટેઇન કરવામાં આવી હતી. આ ઉપરાંત વાહનોના કાચ પર પ્રતિબંધિત બ્લેક ફિલ્મ લગાવનારા 7 વાહનચાલકો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. બહારના રાજ્યો કે શહેરોમાંથી આવીને વસેલા લોકોની ઓળખ સુનિશ્ચિત કરવા માટે 84 ભાડુઆતોની ઓચંતી તપાસ કરાઈ હતી, જેમાંથી નિયમોનું પાલન ન કરનારા મકાનમાલિકો સામે 8 અલગ-અલગ કેસ નોંધવામાં આવ્યા હતા.

ગ્રાઉન્ડ સિક્યોરિટી અને શંકાસ્પદ સ્થળોનું વેરિફિકેશન

રથયાત્રાના રૂટ અને તેની આસપાસના સંવેદનશીલ પોઇન્ટ્સને સુરક્ષિત કરવા માટે પોલીસે વિસ્તારની 107 હોટલો, ગેસ્ટ હાઉસ, મુસાફરખાના, ધર્મશાળાઓ તેમજ બિલ્ડિંગોના ધાબાઓ (રૂફટોપ) નું જાતે નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન કાયદાનું ઉલ્લંઘન કરીને તીક્ષ્ણ હથિયારો રાખવા બદલ જીપી એક્ટ હેઠળ 8 કેસ કરવામાં આવ્યા હતા. ગુનાખોરી નિયંત્રણ માટે વિસ્તારના ૩૨ નામચીન હિસ્ટ્રીશીટર અને ૭૨ એમસીઆર (MCR) કાર્ડવાળા રીઢા ગુનેગારો, જામીન પર છૂટેલા આરોપીઓ અને નાસતા ફરતા બુટલેગરોની હાજરી તપાસવામાં આવી હતી. સુરક્ષા ચક્રને મજબૂત કરવા રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, બેંકોના 57 એટીએમ (ATM) અને 43 જેટલા અત્યંત સંવેદનશીલ અને વાઇટલ ઇન્સ્ટોલેશન (મુખ્ય સરકારી/ખાનગી મિલકતો) ની ચકાસણી કરીને ત્યાં તહેનાત પ્રાઇવેટ સિક્યોરિટી ગાર્ડ અને વોચમેનને સતર્ક રહેવા તાકીદ કરવામાં આવી હતી.

 આ પણ વાંચો: Surat: વેસુ વિસ્તારમાં હોસ્પિટલ સામે ચાલુ કારમાં આગ, ડ્રાઇવરની સમયસૂચકતાથી આબાદ બચાવ