અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રંગેચંગે પૂર્ણ થયો છે. લાખો ભક્તોએ માં અંબાના દર્શન કર્યા છે. ત્યારે મંદિરમાં વીવીઆઈપી કલ્ચરનો મુદ્દો સામે આવ્યો છે. અંબાજી મંદિરમાં મોબાઈલ અને કેમેરા સહિતના ઉપકરણો લઈ જવા પર પ્રતિબંધ છે. દર્શનાર્થીઓને આ પ્રકારના ઉપકરણો બહાર જ મુકાવી દેવામાં આવે છે. ત્યારે ભાજપના મંત્રીના પુત્રએ મંદિરમાં રીલ બનાવી હોવાનું સામે આવ્યું છે.
બંધ મંદિરમાં કેમેરામેન સાથે પ્રવેશીને રીલ બનાવી
ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી પી.એન. માળીના પુત્ર અક્ષય માળીએ બંધ મંદિરમાં કેમેરામેન સાથે પ્રવેશીને રીલ બનાવી નિયમનો ભંગ કર્યો છે. તેણે બનાવેલી રીલ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભક્તોમાં રોષ ફેલાયો છે. સામાન્ય લોકોને પોલીસના ગાઢ કિલ્લા જેવી સુરક્ષામાંથી પસાર થવું પડે છે અને મોબાઈલ કે સ્માર્ટ વોચ સહિતના ઉપકરણો બહાર જ મુકાવી દેવામાં આવે છે. ત્યારે ભાજપના નેતાઓના પુત્રો સરેઆમ નિયમોનો ભંગ કરે છે. આ ઘટનાથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
મંદિર ટ્રસ્ટ દ્વારા હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી
સમગ્ર બાબત બહાર આવ્યા બાદ મંદિર ટ્રસ્ટ દ્વારા હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જ્યારે પણ મંદિર બંધ હોય ત્યારે રાજ્યના મુખ્યમંત્રી કે મોટા નેતાઓ અને સેલિબ્રિટી પણ પ્રવેશ નથી કરતાં. ત્યારે આ ભાજપના નેતાના પુત્રને કેવી રીતે પ્રવેશ આપવામાં આવ્યો તે અંગે મંદિર ટ્રસ્ટ પણ કોઈ જવાબ આપવા તૈયાર નથી. આ પ્રકારના વીવીઆઈપી કલ્ચરથી સામાન્ય લોકોમાં ભારે રોષ ફેલાયો છે.









