અમરેલી જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ધારી પંથકમાં પડેલા મુશળધાર વરસાદને કારણે સર્વત્ર જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે. ભારે પૂરના કારણે ધારીથી જૂનાગઢ અને રાજકોટ તરફ જવાનો મુખ્ય પુલ એક તરફથી ધસમસતા પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયો છે.
વન-વે રસ્તો શરૂ કરાવાયો
પુલનો એક હિસ્સો ક્ષતિગ્રસ્ત થતાં તંત્ર દ્વારા તાત્કાલિક વન-વે રસ્તો શરૂ કરાવીને ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેથી વાહનચાલકો અટવાય નહીં.
રહેણાંક વિસ્તારોમાં પણ પૂરના પાણી ઘૂસી જતાં હાહાકાર
બીજી તરફ, ધારીના રહેણાંક વિસ્તારોમાં પણ પૂરના પાણી ઘૂસી જતાં હાહાકાર મચી ગયો છે. ધારીની વિશ્વકર્મા સોસાયટી અને જોશીબાગ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. સોસાયટીઓમાં આવેલા સાંકડા પુલને કારણે પાણીનો નિકાલ ન થતાં પૂરના પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા હતા, જેના લીધે ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે અને સ્થાનિક લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
સાંકડા પુલને તાત્કાલિક તોડવાનો નિર્ણય
સ્થિતિની ગંભીરતાને જોતાં પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવા અને પાલિકા પ્રમુખ જયદીપ બસિયા તાત્કાલિક કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. સ્થાનિક રહીશોની આ વિકટ સમસ્યા અને આક્રોશને ધ્યાને રાખીને, પાણીના ઝડપી નિકાલ માટે વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર જ તે સાંકડા પુલને તાત્કાલિક જેસીબીની મદદથી તોડી પાડવાનોનિર્ણય લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો---- Gujarat Latest News Live : મુંબઈના વસઈ, નાલાસોપારામાં ભારે વરસાદથી જળબંબાકાર