અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂર આવતા સિંહોની સુરક્ષાને લઈને વન વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. વન્યપ્રાણીઓ, ખાસ કરીને ગુજરાતની શાન ગણાતા સિંહ, સિંહણ અને સિંહબાળ પૂરની સ્થિતિમાં મુશ્કેલીમાં ન મુકાય તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.
અમરેલીમાં વન વિભાગ સિંહોની સુરક્ષાને લઈ એલર્ટ
ગઈકાલે રાજુલા, જાફરાબાદ અને પીપાવાવ પોર્ટ વિસ્તારના રામપરા સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સિંહોના નિવાસસ્થાન ગણાતા આ રેવન્યુ અને ઉદ્યોગોના વિસ્તારોમાં પાણી ભરાતા વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢના કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ (CF) રામ રતન નાલાએ સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને વિશેષ આદેશો આપ્યા છે.










