અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના કણકોટ ગામેથી 3 થી 4 વર્ષની એક સિંહણનો શંકાસ્પદ મૃતદેહ મળી આવતા વનવિભાગ માટે માઠા સમાચાર આવ્યા છે. આ ઘટના, ખાસ કરીને જ્યારે ભારતના રાષ્ટ્રપતિની સાસણ ગીરની સંભવિત મુલાકાત પૂર્વે બની છે, ત્યારે વન્યજીવ સંરક્ષણની કામગીરી પર સવાલો ઉભા કરી રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર, કણકોટ ગામના નદી તરફ જતા સીમ વિસ્તારના રસ્તે આ સિંહણનો મૃતદેહ પડ્યો હોવાની જાણ લીલીયા રેન્જ ફોરેસ્ટને થતા વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. વનવિભાગ દ્વારા મૃતદેહને હાલમાં ક્રાક્શ એનિમલ સેન્ટર ખાતે પેનલ પીએમ (પોસ્ટમોર્ટમ) માટે મોકલી આપવામાં આવ્યો છે, જે દ્વારા સિંહણના મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે.


લીલીયામાં સિંહણનું મોત

જોકે, સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સિંહણનું મૃત્યુ ઇલેક્ટ્રિક શોર્ટ લાગવાથી થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વનવિભાગની તપાસમાં એવું પણ તારણ નીકળી રહ્યું છે કે મૃતદેહ જ્યાંથી મળ્યો તે જગ્યા પર કોઈ વીજ વાયર કે અન્ય ઇલેક્ટ્રિક ઉપકરણ જોવા મળ્યું નથી. આના આધારે, વનવિભાગ શંકા વ્યક્ત કરી રહ્યું છે કે સિંહણનું મોત અન્ય કોઈ જગ્યાએ ઇલેક્ટ્રિક શોક લાગવાથી થયું હશે અને ત્યારબાદ તેના મૃતદેહને ગુનો છુપાવવાના ઈરાદે કણકોટ ગામની સીમમાં લાવીને નાખી દેવામાં આવ્યો હોઈ શકે છે. ગુજરાત ગૌરવ એવા સિંહણના આ અકાળે અને શંકાસ્પદ મૃત્યુના સમાચારથી સમગ્ર રાજ્યના સિંહ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સિંહ પ્રેમીઓ અને વન્યજીવ કાર્યકરો દ્વારા વન વિભાગને આ સમગ્ર મામલે યોગ્ય અને ઝડપી તપાસ કરીને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

સિંહણનું મોત શોર્ટ સર્કિટથી થયાની આશંકા

સત્ય શું છે તે તો પીએમ રિપોર્ટ અને વનવિભાગની ઊંડાણપૂર્વકની તપાસ બાદ જ સ્પષ્ટ થશે, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર ગીર વિસ્તારની આસપાસના વિસ્તારોમાં વીજળીના તાર વડે થતા ગેરકાયદે શિકાર અને સિંહના રક્ષણની જરૂરિયાત પર ગંભીરપણે વિચારણા કરવા મજબૂર કર્યા છે. સમગ્ર મામલાની સંવેદનશીલતાને જોતા વનવિભાગે આ મામલે સઘન તપાસ શરૂ કરી દીધી છે. 








  • Follow us on: