આણંદ તાલુકાના સારસા ગામમાં ભાથીજી મંદિરથી અલકાપુરી, જય અંબે સોસાયટી માર્ગ ઉપર ગેરકાયદેસર બાંધકામ અને દબાણ ખડકાયેલા છે. દબાણો દુર કરવા માટે સ્થાનિકોએ વારંવાર ગ્રામ પંચાયત અને સીટી સર્વેના અધિકારીઓને રજૂઆત કરવા છતા પણ દબાણો દુર કરવામાં ઉદાસિનતા સેવવામાં આવતા પ્રસાશનના અધિકારીઓ સામે છુપો રોષ પ્રગટયો છે. જો કે આગામી સમયમાં દબાણો દુર કરવામાં નહી આવે તો કલેક્ટરને રજૂઆત કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યુ છે.
કરમસદ, આણંદ મહાનગરપાલિકામાં શરૂઆતના તબક્કામાં અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો ઉપર કલેક્ટર દ્વારા સમયાંતરે બુલડોઝર ફેરવીને દબાણો દુર કરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને જાહેર માર્ગ ઉપર અડચણ રૂપ દબાણોનો સફાયો કરાયો છે. ત્યારે આણંદ પાસેના સારસા ગામમાં અનેક વિસ્તારોમાં દબાણોનો રાફળો ફાટયો છે. આ મુદ્દે સ્થાનિકો છેલ્લા ત્રણ વર્ષથી દબાણ દુર કરીને જાહેર માર્ગ ખુલ્લો કરવા અનેક વખત અને વખતો વખત રજુઆત કરી હોવા છતા ગ્રામ પંચાયત અને સીટી સર્વેના અધિકારીઓ દ્વારા રહીશોની રજુઆતને ધ્યાનમાં લેવામાં ન આવતા લોકોમાં રોષ પ્રગટયો છે. ત્રણ ત્રણ વર્ષથી સીટી સર્વે અને ગ્રામ પંચાયત વચ્ચે દબાણ હટાવવા મુદ્દે જાણે કે ખો-ખો ની રમત ચાલતી હોય તેમ નક્કર કામગીરી કરવામાં અધિકારીઓ દ્વારા ઉદાસીનતા સેવવામાં આવતા તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.










