આંકલાવ તાલુકાના ઉમેટા અને ખડોલ ગામ નજીક આવેલી પવિત્ર મહીસાગર નદી હાલમાં એક મોટા વિવાદનું કેન્દ્ર બની છે. અહીં કોઈપણ પ્રકારની સરકારી પરવાનગી વિના ઝીંગાના બડિંગ(બિયારણ) નો ઉદ્યોગ અને વેપાર બેરોકટોક ચાલી રહ્યો છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે કાયદેસર રીતે માછીમારી કરતા સમુદાયના લોકોની આજીવિકા જોખમમાં મુકાઈ છે અને સ્થાનિક માછીમારો વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ છે.


અત્રે જે માછીમારો કાયદેસર રીતે પરમિટ મેળવીને મહીસાગર નદીમાં માછીમારી કરી રહ્યા છે. તેમને આ ગેરકાયદેસર કારોબારને કારણે ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. ગેરકાયદેસર રીતે ઝીંગાના બિયારણની ચોરી અને વેચાણ થતાં, નદીના કુદરતી સંસાધનો પર દબાણ વધી રહ્યું છે. કાયદેસર માછીમારોએ આ બાબતે અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં આજદિન સુધીમાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.

આ બંને ગામમાં ઝીંગાના બિયારણના ગેરકાયદેસર વેચાણને લઈને છેલ્લા કેટલાય સમયથી મહીસાગર નદીના કિનારે રહેતા માછીમારો વચ્ચે તણાવની સ્થિતિ પ્રવર્તી રહી છે. એક તરફ્ પરમિટધારક માછીમારો તેમના હક અને આજીવિકા બચાવવા માંગે છે. તો બીજી તરફ્ ગેરકાયદેસર વેપારીઓ પોતાનો નફખોરીનો ધંધો ચાલુ રાખવા મક્કમ છે. જેના કારણે મામલો ગંભીર બન્યો છે. સદર મામલે સ્થાનિક માછીમારો અને જાગૃત નાગરિકો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિ પાછળ તંત્રની નિષ્ક્રિયતા મુખ્ય કારણ છે. તંત્રની ઢીલી નીતિઓના કારણે મહીસાગર નદીમાં ઝીંગાના બિયારણની ચોરી અને તેનો ગેરકાયદેસર વ્યાપાર બેરોકટોક ચાલી રહ્યો છે. આ ગેરકાયદેસર ચોરીના કારણે સ્થાનિક પર્યાવરણ અને સરકારી આવકને મોટું નુક્શાન થઈ રહ્યું છે.


  • Follow us on: