ચરોતરમાં અંધકાર ઉપર ઉજાસના પર્વ દિપાવલી તેમજ વિક્રમ સવંત 2082ના નવાવર્ષ સહિતના પર્વોની શ્રાદ્ધા,ભક્તિ અને ઉલ્લાસભેર ઉજવણી કરાયા બાદ વણજોયુ મુર્હુત ગણાતા લાભપાંચમ પર્વની ઉમંગભેર ઉજવણી કરવામા આવી હતી. જેમાં શહેરી-મોટા ટાઉન, ગ્રામ્ય વિસ્તારોના બજારોમાં વેપારીઓએ શુભ મુર્હુતમાં દુકાનો, વેપારી સંસ્થા-પેઢીને ખોલીને ભગવાન શ્રી ગણેશ, માતા સરસ્વતી દેવી, મહાલક્ષ્મી, ઇષ્ટદેવનુ પુજન-અર્ચન કરી વ્યવસાયનો શુભારંભ કર્યો હતો. જોકે કેટલાક વેપારીઓએ સવારમાં મુર્હુત કરીને બપોર બાદ ધંધા-વ્યવસાય બંધ રાખતા બજારોમાં ધીમી ધારે ચહલપહલ વર્તાઇ રહી છે.
આજે લાભપાંચમ પર્વે આણંદ-ખેડા જિલ્લાના શહેરી-મોટા ટાઉન, ગ્રામ્ય વિસ્તારોના બજારોમાં વેપારીઓએ શુભ મુર્હુતમાં દુકાન, વેપારી-પેઢીઓ, સંસ્થાનો ખોલી ઇષ્ટદેવ, ભગવાન ગણેશજી, રિદ્ધિ-સિદ્ધિ, શ્રી મહાલક્ષ્મીદેવી, સરસ્વતી દેવ, કુબેર દેવનુ મંગલ પુજન, વિવિધ યંત્ર સામગ્રી, સાહિત્ય, સ્ટેશનરી, ધાર્મિક ચીજવસ્તુઓની પુજા-અર્ચના કરી નવા વર્ષે શુભમુર્હુત કરી ધંધા-વ્યવસાયના શ્રીગણેશ કર્યા હતા. શુભમુર્હુતમા કેટલાક નાગરિકો, ગૃહિણીઓએ ટુવ્હીલર, ફોરવ્હીલર, થ્રી વ્હીલર, ગીફટ આર્ટીકલ, ફર્નિચર, આભુષણો સહિતની ચીજવસ્તુઓની ખરીદી કરીને મંગલ મુર્હુતને સાચવ્યુ હતું. જોકે દિપાવલી પર્વની પુર્ણતા સાથે વિવિધ સરકારી-ખાનગી સંસ્થા-સંકુલોમાં પણ ધીરે-ધીરે ધમધમતા થવા ઉપરાંત બજારોમાં પણ ગ્રાહકોની ચહલપહલ વર્તાઇ રહી છે.










