આણંદ શહેરના રેલવે સ્ટેશન, જુના બસ સ્ટેશન, એકતા પોલીસ ચોકી સામે ખાનગી રીક્ષાચાલકો દ્વારા સ્ટેશનના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે ટ્રાફીક તેમજ રાહદારીઓની અવરજવરને અડચણરૂપ થાય તે રીતે મોટા પ્રમાણમાં આડેધડ રોડ વચ્ચે રીક્ષાઓ પાર્ક કરીને તંત્રના જાહેરનામા તેમજ આરટીઓના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવા છતાં તંત્રની ચૂપકીદીથી આવા રીક્ષાચાલકોને જાણે મોકળુ મેદાન મળી ગયું હોય તેમ લાગી રહ્યું છે.


આણંદના નિવાસી અધિક કલેક્ટર દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા માટે જાહેરનામા પ્રસિદ્ધ કરીને એકી બેકી ટ્રાફિક, વનવે અવરજવર તેમજ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન જેવા સ્થળો પર અવરજવરથી ધમધમતા જાહેર સ્થળો ઉપર મર્યાદિત સંખ્યામાં રીક્ષાઓ પાર્ક કરવા માટે આદેશ આપવામાં આવતો હોવા છતાં રીક્ષાચાલકો દ્વારા મર્યાદિત સંખ્યામાં રીક્ષાઓ પાર્ક કરવાને બદલે મોટા પ્રમાણમાં આડેધડ રીક્ષાઓ પાર્ક કરવામાં આવતી હોય તેમજ રેલવે સ્ટેશન ઉપર ટ્રેન આવવાના સમયે કે જુના બસ સ્ટેશન પાસે બસોની આવન-જાવન દરમિયાન રીક્ષાચાલકો દ્વારા છેક પ્રવેશ દ્વાર સુધી રીક્ષાઓ લઈ જઈને બોરસદ ચોકડી, પેટલાદ, હાડગુડ, ખેતીવાડી, બોરસદ નાપા, વિદ્યાનગર, ચિખોદરા, વાસદ, બાકરોલ, કણજરી-બોરીયાવી, નડીયાદ સહિતના સ્થળોએ જવા માટે મોટેથી બૂમો પાડીને મુસાફરોને આકર્ષવા માટે પ્રયાસ કરવામાં આવતો હોઈ મુસાફરોને સ્ટેશનોમાં આવવા જવા માટે અડચણ સર્જાતી હોવા છતાં રીક્ષાચાલકોના આડેધડ જમેલાને લઈને માર્ગ ઉપર અન્ય વાહનચાલકોને પણ અવરોધ સર્જાતાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. કેટલીક વખત મુસાફરો ન હોવા છતાં પણ રીક્ષાચાલકો દ્વારા જે તે સ્થળની જોરશોરથી પાડવામાં આવતી બૂમો રાહદારીઓ, વાહનચાલકો તેમજ અન્ય નાગરિકો માટે ત્રાસદાયક બની જાય છે. ઉપરાંત ભાડાદરને લઈને કેટલાક રીક્ષાચાલકો અને મુસાફરો વચ્ચે ઘર્ષણ સર્જાતું હોવાની ઘટનાઓ પણ સર્જાતી હોય છે. ત્યારે નિયમ ભંગ કરતા ટુ વ્હીલર, ફોર વ્હીલર, હેવી લોડેડ વાહનચાલકો, વાહનમાલિકો સામે કાયદાકીય કાર્યવાહી કરતી આરટીઓ તેમજ ટ્રાફિક શાખા દ્વારા આવા રીક્ષાચાલકો સામે શા માટે કડક કાર્યવાહી કરવામાં આવતી નથી તે એક ચર્ચાનો વિષય છે.


  • Follow us on: