કાંકરેજ તાલુકામાં હાલ યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોને ખેતી કામગીરીમાં થતી મુશ્કેલીઓ વધવા લાગી છે. કાંકરેજના મુખ્ય મથક શિહોરી સહીત પંથકના વિવિધ વિસ્તારોમાં ખાતર મેળવવા ખેડૂતોને લાંબી લાઈનમાં ઊભા રહેવું પડે છે. તેમ છતાં પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતોમાં રોષની લાગણી વ્યાપી રહી છે.


વાવણી અને પાક વિકાસના તબક્કામાં યુરીયા ખાતર જરૂરી છે. પરંતુ તંત્ર અને સહકારી મંડળીઓ તરફ્થી યોગ્ય પુરવઠો ન થવાથી ખેડૂતોને દુકાનેથી દુકાને ચક્કર લગાવવા પડી રહ્યા છે. અનેક ખેડૂતોનું કહેવું છે કે ખાતર જેને યોગ્ય સમયે આપવામાં આવે, તે જ પાકને લાભ આપે. અછત અને મોડું પ્રાપ્ત થવાથી પાકની વૃદ્ધિ અને ઉત્પાદનમાં ગંભીર અસર પડી શકે છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને APMC શિહોરીના વેપારીઓ દ્વારા ખેડૂતોના હિતમાં સરકાર અને સંબંધિત તંત્રને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં તાત્કાલિક પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર સપ્લાય કરવાની માંગ કરી છે. વેપારીઓનું કહેવું છે કે ખાતરનો પુરવઠો ખોરવાતા ખેતી ચક્ર પર સીધી અસર થતી જોવા મળે છે. તેથી સરકારે ગંભીરતા દાખવી વ્યવસ્થિત વિતરણ કરવું જરૂરી છે. ખાતર ન મળવાથી કેટલાક ખેડૂતો દ્વારા સહકારી મંડળીઓ સમક્ષ લેખિત રજૂઆત કરીને ક્ષ્જો ખાતર ઉપલબ્ધ ન હોય તો મંડળી ખુલ્લી રાખવાનો અર્થ નથી તેવી રજૂઆત પણ કરવામાં આવી છે.


  • Follow us on: