ધાનેરા તાલુકાના સામરવાડા ગામના પનોતા પુત્ર અને ભારતીય સેનાના જવાન ઝાલમસિંહ દેવડા પંજાબ ખાતે ફરજ બજાવતા હતા અને રજા દરમિયાન પોતાના વતન સામરવાડા આવ્યા હતા. પરિવાર સાથે હસતા-ખેલતા અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા તેઓને તાત્કાલીક હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ત્યારે બુધવારે આસામ રેજીમેન્ટનાં જવાનો અને અધીકારીઓ દ્વારા શહીદ ઝાલમસિંહને ગાર્ડ ઓફ ઓનર સાથે શ્રાદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. શહીદના સન્માનમાં 4 કિમી લાંબી બાઇક રેલી યોજાઈ હતી અને અંતિમ વિદાયમાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું. અંતિમ યાત્રામાં માતા કી જય અને શહીદ અમર રહોના નારા સાથે વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. આ દુઃખદ પ્રસંગે પૂર્વ મંત્રી હરજીવન પટેલ, ભાજપના જિલ્લા આગેવાન વસંત પુરોહિત અને વિરલ પટેલ સહિત ઉપસ્થિત રહી શહીદને શ્રાદ્ધાંજલી અર્પણ કરી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.


આર્મીમાં પંજાબ વિસ્તારમાં 12 વર્ષથી ફરજ બજાવી રહેલા ઝાલમસિંહના પરિવાર પર કુદરતનો કહેર તૂટી પડયો છે. તેમને બે દીકરીઓ છે એક દીકરી પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે તો બીજી દીકરી ત્રણ વર્ષની છે અને હાલમાં તેમના પત્નીને ત્રણ મહિનાનો ગર્ભ પણ છે.ત્યારે ઝાલમસિંહના અવસાનથી આવનાર બાળક સાથે ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવાર પર આકસ્મિક આફત આવી પડી છે.


  • Follow us on: