તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે સૂઈગામ તાલુકાના છેવાડાના ગામોમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર તાત્કાલિક અસરકારકથી રાહત કામગીરીમાં જોડાયું છે. છેવાડા વિસ્તારના પાડણ અને જેલના ગામોમાં પૂરથી અસરગ્રસ્ત પરિવારો સુધી વહીવટી અધિકારીઓએ સીધી પહોંચ મેળવી આજે અસરગ્રસ્ત લોકોને ટ્રકો દ્વારા અનાજ અને રાહત કીટ પહોંચાડી હતી.


અસરગ્રસ્ત પરિવારો રાહત સામગ્રીથી વંચિત ન રહે તે માટે અનાજ કીટ અપાઈ

અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક જરૂરી રાહત સામગ્રી તથા અનાજની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્રની આ કામગીરીથી ગ્રામજનોએ મોટી રાહત અનુભવી હતી. સ્થાનિક લોકોએ સરકાર તથા જિલ્લા વહીવટીતંત્ર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં હૃદયપૂર્વક આભાર માન્યો હતો. જિલ્લા વહીવટીતંત્ર તરફથી અસરગ્રસ્ત પરિવારોને રાહત સામગ્રી પહોચાડવા માટે સુદ્રઢ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. કોઈપણ અસરગ્રસ્ત પરિવારો રાહત સામગ્રીથી વંચિત ન રહે તેની ખાસ તકેદારી રાખી અસરગ્રતોને જરૂરી તમામ સહાય પૂરી પાડવામાં આવશે.

વહીવટી તંત્ર દ્વારા અલગ-અલગ કુલ 100થી વધારે ટીમો બનાવી સર્વે હાથ ધરાયો

સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા અલગ-અલગ કુલ 100થી વધારે ટીમો બનાવી સર્વે હાથ ધરાયો છે. આ સર્વેમાં ઘરોમાં પાણી ભરાવાથી થયેલ નુકસાનનું મૂલ્યાંકન, ઘરમાં રહેલા લોકોની ખોરાક, પાણી અને આરોગ્ય સંબંધિત તાત્કાલિક જરૂરિયાતો, મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને થતી મુશ્કેલીની નોંધણી, તાત્કાલિક દવાઓ તથા આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા અંગે માહિતી, નાગરિકોને સરકાર તરફથી મળનારી સહાય માટેની જરૂરી વિગતોનો અહેવાલ તૈયાર કરવામાં આવશે. નાગરિકોને કોઈપણ પ્રકારની સમસ્યા ના રહે એ માટે રેવન્યુ સ્ટાફ સતત કામગીરી કરી રહ્યો છે.

  • Follow us on: