દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. રવિન્દ્રસિંહ ચૌહાણ સામે વહીવટી ગેરવહીવટના ગંભીર બાબત સામે આવી છે. નિવૃત્ત અધિકારી તરીકે સરકારી પદ પર નિયુક્તિ બાદ પે-માઇનસ-પેન્શન ચૂકવવાનો સ્પષ્ટ અને ફરજીયાત નિયમ હોવા છતાં કુલપતિએ તેનો ભંગ કર્યો હોવાનું બહાર આવ્યું છે. નિયમનું પાલન ન કરતાં ચૌહાણે મોંઘવારી ભથ્થાં સહિત લગભગ રૂ.54 લાખનો ગેરલાભ લઈ લીધો છે.


ફરિયાદો બાદ સરકારે સમીક્ષા કરીને કુલપતિને ગેરકાયદે લેવાયેલી રકમ તાત્કાલિક પરત જમા કરાવવાના આદેશ કર્યા છતાં તેમણે આજદિન સુધી ચૂકવણી કરી નથી. જેના કારણે યુનિવર્સિટીના વર્તુળોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે કે, આખરે કયું પીઠબળ તેમને આટલા સશક્ત બનાવે છે કે સરકારના આદેશો પણ ફ્ક્કિા પડે છે.

યુનિવર્સિટીના નાણાંકીય વડા અને કોમ્પટ્રોલરને કુલપતિએ દબાણમાં લાવી દીધા હતા. દબાણથી નાસીપાસ થઈ કોમ્પટ્રોલર રજા પર ઉતરી ગયા છે. કુલપતિએ પોતાના મનસૂબા આગળ ધપાવવા કોમ્પટ્રોલર અને મદદનીશ કુલસચિવનો ચાર્જ એક જુનિયર ટેકનિકલ કર્મચારીને સોંપી દેવાતા સમગ્ર પ્રકરણ વધુ વિવાદાસ્પદ બન્યું છે. આ બાબત અંગે કન્ટ્રોલર એમ.સી. પરમારે પત્ર લખીને સરકારને વિગતે જાણકારી આપી છે. બીજી તરફ આણંદ, નવસારી અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિઓએ પે-માઇનસ-પેન્શનનો ખોટો લાભ લઈને મેળવેલી રકમ સરકારને પરત કરવાની શરૂઆત કરી દીધી છે. પરંતુ દાંતીવાડાના કુલપતિ જ રકમની ભરપાઈથી બચવા અઠંગ વલણ અપનાવી રહ્યા છે.


  • Follow us on: