સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા. 1-11-2025, દેવઉઠી અગિયારસ અને કારતક માસના બીજા શનિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
ગલગોટા અને સેવંતીના ફૂલનો શણગાર દાદાને કરાયો
આજે સવારે મંગળા આરતી અને શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીએ કરી હતી. મહત્ત્વનું છે કે, આજે સાળંગપુર હનુમાનજી મંદિરે વરસાદ હોવા છતાં ભક્તો લાંબી લાઈનમાં ઊભા રહીને હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનૂભવી રહ્યા છે. આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને પ્યોર સિલ્કના કાપડના વૃંદાવનમાં સાત દિવસની મહેનતે જરદોશી વર્કવાળા કમળની થીમના વાઘા અને સિંહાસને કમળની થીમ સાથે ગલગોટા અને સેવંતીના ફૂલનો શણગાર કરાયો છે.

જરદોશી વર્કવાળા કમળ અને ગુલાબની થીમવાળા વિશેષ વાઘા પહેરાવ્યા છે
દાદાના આ દર્શનનો લ્હાવો લઈને દરેક ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. પૂજારી સ્વામીએ આ અંગે જણાવ્યું હતું કે, આજે દેવઉઠી અગિયારસ અને શનિવારના વિશેષ સંયોગ નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને પ્યોર સિલ્કના કાપડમાંથી જરદોશી વર્કવાળા કમળ અને ગુલાબની થીમવાળા વિશેષ વાઘા પહેરાવ્યા છે. આ વાઘા વૃંદાવનમાં 7 કારીગરો દ્વારા 7 દિવસની મહેનતે તૈયાર કરવામાં આવ્યા છે. તો દાદાને વિશેષ દાદાને કમળ અને ગુલાબના ફૂલનો હાર પહેરાવ્યો છે.









