ભરૂચના જંબુસર બાયપાસ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં વરસાદી અને ગટરના પાણી ભરાવાને કારણે સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. જીએસઆરડીસી દ્વારા બનાવેલા આવેલા બ્રિજનું પાણી સોસાયટીઓમાં આવી રહ્યુ હોવા સાથે બ્રિજની કામગીરીના કારણે સોસાયટીની વરસાદી કાંસની ગટર સંપુર્ણ પણે નષ્ટ થઈ ગઈ હોવાનો પણ આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે ત્યારે સોમવારે સ્થાનિક રહીશો તેમજ આગેવાનોએ જિલ્લા કલેકટરને આવેદન આપી વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી છે.
ભરૂચ શહેરના જંબુસર બાયપાસ વિસ્તારમાં આવેલી આરઝુ રેસિડન્સી, અરમાન બંગ્લોઝ, બાગે ફિરદોશ, જંબુસર બાયપાસ ચોકડી, બાલાજી માર્બલની બાજુમાં આવેલી સોસાયટીઓમાં ચોમાસાની મોસમમાં લોકોને પાણી ભરાવાની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આરઝુ અને અરમાન બંન્ને સોસાયટીમાં જે તે સમયે જીએસઆરડીસીની ગટર લાઈન મંજુર થઈ હતી. જો કે હજી સુધી તે કામગીરી થઈ નથી. જીએસઆરડીસી દ્વારા બનાવાયેલા બ્રીજની કામગીરી વેળા વિસ્તારની વરસાદી પાણી અને ગટરના પાણીના નિકાલ માટેની કાંસ સંપુર્ણ પણે નષ્ટ થઈ જતા પાણીનો નિકાલ ન થવાથી સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે. આ વિસ્તારમાં 150 થી 200 કરતા પણ વધુ મકાનો આવેલા છે. ત્યારે સોસાયટીમાં કેડ સમા પાણી ભરાવાથી બાળકોને શાળામાં આવવા-જવા સાથે નોકરીયાત વર્ગોને મુશ્કેલી પડે છે. આ સોસાયટીઓમાં કોઈને બિમારીના કારણે એમ્બ્યુલન્સની જરરૂ પડે તો એમ્બ્યુલન્સ પણ સોસાયટીમાં આવી શકતી નથી. આ વિસ્તારની સોસાયટીઓ દ્વારા નિયમિત વેરો ભરવામાં આવે છે. પશ્ચિમ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાંથી નગરપાલિકા દ્વારા સૌથી વધુ મિલ્કત વેરો વસુલવામાં આવે છે ત્યારે સમસ્યાનું કાયમી નિરાકરણ ન આવે ત્યાં સુધી હંગામી ધોરણે પાણીનો નિકાલ થાય તેવી સુવિધા કરી આપવાની માંગ સ્થાનીકોએ કરી છે. આવેદનપત્ર પાઠવવામાં ભરૂચ કોંગ્રેસ શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, ભરૂચ પાલિકા વિપક્ષ નેતા સમશાદ અલી સૈયદ, અબ્દુલ કામઠી, હેમેન્દ્ર કોઠીવાલા સહિત સ્થાનિક રહીશો પણ ઉપસ્થિત રહ્યા હતા.










