ભરૂચમાં ઝાડેશ્વર ખાતે આવેલી સંસ્કાર ભારતી વિદ્યાલય ખાતે વાલીઓએ શાળા હંગામો કર્યો હતો. બાળકોને લાવતા-લઈ જતાં વાહનોને દૂર ઉભા રખાવવા સાથે, શાળામાં પાવર કટની ઘણી સમસ્યા હોવાનો રોષ વાલીઓએ વ્યકત કર્યો હતો. જોકે, શાળા સંચાલકોએ મોટાભાગના પ્રશ્નોના નિરાકરણ લાવવાની બાંહેધરી આપી હતીં.
ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલી સંસ્કાર ભારતી સ્કૂલ પુનઃ વિવાદમાં આવી છે. તાજેતરમાં જ શાળાને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા વિદ્યાર્થીઓને શાળામાંથી જ શાળા-ટ્રસ્ટના લોકોવાળી નોટબુક લેવા દબાણ કરાયાના આક્ષેપને લઈને નોટિસ આપવામાં આવી હતી. દરમિયાનમાં આજે પુનઃશાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓએ શાળાએ ધામા નાંખ્યાં હતાં. વાલીઓએ જણાવ્યું હતું કે, બાળકોને લાવતાં લઈ જતાં વાહનોને સ્કૂલ બિલ્ડીંગથી અડધો કિમી દૂર ઉભી રખાવી ત્યાં જ વિદ્યાર્થીઓને ઉતારી લેવા દબાણ કરાય છે. જેના કારણે અસહ્ય ગરમી હોય કે, ઠંડી કે પછી વરસાદ વરસતો હોય બાળકોએ સ્કૂલ ગેટથી બિલ્ડીંગ ચાલતાં જવા મજબુર બને છે.










