ભરૂચ ખાતે આ વર્ષે જુલાઇ મહિનાની શરૂઆતમાં રાજસ્થાનના ઝાલોર જિલ્લાના રહેવાસી 45 વર્ષના કિશોરભાઈ રાજપુત કામ માટે આવ્યા હતા. ભરૂચ રેલ્વે સ્ટેશન પાસે અજાણી વ્યકિત એમની સાથે અકસ્માત કરીને જતી રહી હતી. કિશોરભાઈને ભરૂચ સિવિલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. સેવાયજ્ઞ સમિતિના સ્વયંસેવકે ટ્રોમા સેન્ટરમાં કિશોરભાઈને અસહાય હાલતમાં જોયા હતા.
ત્યારબાદ સિવિલ હોસ્પિટલના હાડકાના ડોકટર કુણાલ ચાંપાનેરી પાસે કિશોરભાઈનું ઓપરેશન કરાવ્યુ હતુ. ઉચીત સારવારથી તેઓ હાલમાં સાજા થઈને ચાલતા પણ થઈ ગયા છે. કિશોરભાઈની ઇચ્છા વતન રાજસ્થાનમાં રહેતી માતા પાસે જઈ ત્યાં જ કોઈ કામ ધંધો કરી પોતાની માતાની સેવા કરવાની છે તે જાણી સેવાયજ્ઞ સંસ્થાના સ્વયંસેવકોએ એમનું પરિવાર સાથે મિલન કરાવ્યુ છે. જ્યારે ભરૂચના દાંડિયા બજારમાં રહેતા દિનેશભાઈ રાણા ઉંમર આશરે 55 વર્ષ, રેલ્વે સ્ટેશનમાં કેટલા દિવસોથી અનાથ હાલતમાં પડેલા હતા. તે અંગેની જાણ ભરૂચ રેલ્વે સ્ટેશનના સુપ્રિન્ટેન્ડટન્ટ શૈલેષભાઈ પિલ્લઈએ કરતા સેવાયજ્ઞ સંસ્થાની ટીમ દિનેશભાઈને સેવાયજ્ઞના અનાથ ઘરડાઘરમાં આશ્રય માટે લઈ આવ્યા, અને યોગ્ય સારવાર કરાવી જેના પરિણામે આજે તેઓ સંપુર્ણપણે સાજા થઈ ગયા છે.










