ભાવનગરમાં ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓની રેકી કરીને ખનીજ માફિયાઓને લોકેશન મોકલવાના એક સનસનીખેજ કિસ્સામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલે શહેરના ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ભૂસ્તરશાસ્ત્રી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ આરોપીઓ છેલ્લા ઘણા સમયથી ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા હતા.


ભાવનગર પોલીસમથકમાં ભુસ્તરશાસ્ત્રીની ફરિયાદ

તેઓ અધિકારીઓની કારના નંબર, તેમના લોકેશન અને મુવમેન્ટની માહિતી એક સોશિયલ મીડિયા ગ્રુપમાં મૂકી દેતા હતા. જેથી ખનીજ માફિયાઓ તે મુજબ પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ રાખી શકે. આ રીતે તેઓ ખનીજ માફિયાઓ પાસેથી પૈસા ઉઘરાવતા હોવાનું પણ સામે આવ્યું છે. ભૂસ્તરશાસ્ત્રી દ્વારા 28 ઓગસ્ટના રોજ આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવ્યા બાદ ઘોઘારોડ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

આરોપીઓએ ખાણ ખનીજ અધિકારીઓની કરતા હતા રેકી 

પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે ત્રણ આરોપીઓની અટકાયત કરી છે. આ ઘટનાએ ખનીજ ચોરીના રેકેટ અને તેમાં સંડોવાયેલા લોકોના વિશાળ નેટવર્કને ઉજાગર કર્યું છે. આ આરોપીઓ સરકારી અધિકારીઓની કામગીરીમાં અવરોધ ઊભો કરીને કાયદાનો ભંગ કરી રહ્યા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. જેથી આ રેકેટમાં સંડોવાયેલા અન્ય લોકો પણ ઝડપાઈ શકે.


  • Follow us on: