તળાજા તાલુકાના પાવઠી ગામે બે સગા ભાઈ-બહેનના આજે મોટરકારમા ગુંગળાઇ જવાના કારણે મોત નિપજ્યા છે. બપોર બાદ રમવા નીકળેલ બાળકો સાંજસુધી ઘરે પરત ન ફરતા પરિવાર જનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવતા મકાન માલિકની મોટર કારમા બેભાન થયેલા બાળકો મળી આવ્યા હતા. જેને તળાજા રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવતા બંને ને તબીબે મૃત જાહેર કર્યા હતા. બંને બાળકો મોટરકારમાં રમવા દાખલ થયા હશે અને તેમના લોક થઇ ગયેલ કારનો દરવાજો ખુલી શક્યો ન હોવાથી આ કરૂણ ઘટના બની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઘટનાના પગલે શોકનું મોજુ ફરી વળ્યું હતું.


તળાજાના પાવઠી ગામે બટુકભાઈ હમીરભાઈ ઝીંઝાળા ના મકાનમાં ભાડે રહેતા અને પીથલપુર ગામે રત્નકલાકાર તરીકે કામ કરતા દિપક જયસુખભાઈ સોઢાતર ની ધો.1 મા અભ્યાસ કરતી દીકરી તન્વી (ઉ.વ.6) અને ગામની આંગણવાડીમા જતો દીકરો હિત (ઉ.વ.4) બંને ભાઈ બહેનના મકાન માલિકની ફોર વ્હીલમા ગુંગળાઇ જવાના કારણે મોત નિપજ્યા હતા.

અરેરાટી ઉપજાવતા બનાવ અંગે હતભાગી પિતાએ જણાવ્યું હતુ કે દીકરી બપોરે સ્કૂલેથી આવ્યા બાદ બંને ભાઈ બહેન સાથે રમતા હતા. સાંજના છ વાગ્યાસુધી જોવા ન મળતા બંનેની શોધખોળ હાથ ધરાઇ હતી. જેમાં ઘરના આંગણામાંજ મકાન માલિકની કાર મા બે ભાન હાલતે જોવા મળ્યા હતા. બંનેને તળાજા સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવતા ફરજ પરના ડૉક્ટર એ મૃત્યુ પામેલ જાહેર કરતા પરિવારમા આક્રંદ ફેલાઈ ગયું હતું. બે દીકરી અને એક દીકરો મળી ત્રણ સંતાન હતા. દિપકભાઈ સોઢાતરના લગ્ન ઠળિયા ગામે અમૃતભાઈ હરિભાઈ શિયાતરને ત્યાં થયા હતા. બનાવના પગલે તળાજા તાલુકા પંચાયતના ભાજપ સભ્ય સંજયભાઈ કટારિયા સહિતના સ્નેહી અને સેવાભાવી લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ બનાવ માવતરને આંખ ઉઘાડનારો છે.


  • Follow us on: