ભાવનગર શહેરમાં કથિત ભેળસેળયુક્ત સનફ્લાવર તેલને લઈને ખળભળાટ મચ્યો છે. સન પ્રાઈમ કંપનીના તેલના વપરાશ બાદ પરિવારના 2 સભ્યોની તબિયત લથડી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદ મળ્યા બાદ ગંગાજળિયા પોલીસે આરોગ્ય વિભાગને જાણ કરી હતી, જેના પગલે મનપા આરોગ્ય વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી.

તેલ વાપર્યા બાદ તબિયત લથડી, 112માં કરાઈ ફરિયાદ

અંજુમભાઈ શેખે સન પ્રાઈમ કંપનીનું તેલ ખરીદીને ખાદ્ય વપરાશમાં લીધા બાદ પરિવારના 2 સભ્યોને આડઅસર થઈ હોવાનો આક્ષેપ કર્યો છે. તબિયત લથડતાં 112 પર ફોન કરીને ફરિયાદ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં ગંગાજળિયા પોલીસે આરોગ્ય વિભાગને જાણ કરી હતી.

દુકાનમાં ખુલ્લા તેલનું પેકિંગ? દ્રશ્યોએ વધાર્યું સસ્પેન્સ

મનપા આરોગ્ય વિભાગની ટીમે સ્થળ પર પહોંચી ફરિયાદવાળા તેલના નમૂના લીધા હતા. દરમિયાન તેલ વિક્રેતાની દુકાનમાં ખુલ્લા તેલમાંથી પેકિંગ કરવામાં આવતું હોવાના દ્રશ્યો સામે આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

અલગ-અલગ કંપનીના સ્ટીકર અને સીલ મળી આવ્યા 

આ ઉપરાંત અલગ-અલગ કંપનીના સ્ટીકર અને સીલ મળી આવ્યા હોવાનો પણ આક્ષેપ છે. જો કે, આરોગ્ય વિભાગે માત્ર ફરિયાદ કરવામાં આવેલા તેલના ડબ્બામાંથી જ સેમ્પલ લીધા હોવાનું જાણવા મળ્યું છે.

ભેળસેળ હતી કે નહીં? હવે લેબ રિપોર્ટ આપશે જવાબ

તેલમાં ખરેખર ભેળસેળ છે કે નહીં અને પરિવારના સભ્યોની તબિયત ખરાબ થવા પાછળ આ જ તેલ જવાબદાર છે કે કેમ, તેનો ખુલાસો લેબોરેટરી રિપોર્ટ બાદ થશે. હાલ આ અંગે કોઈ અંતિમ નિષ્કર્ષ પર પહોંચવું વહેલું છે.

અગાઉ પણ કેસો? તો કાર્યવાહી ક્યાં સુધી પહોંચી?

સન પ્રાઈમ કંપની સામે અગાઉ પણ ભેળસેળયુક્ત ખાદ્ય તેલના 2 કેસ નોંધાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દાવાઓની સત્તાવાર તપાસ અને વર્તમાન ફરિયાદના લેબ રિપોર્ટ બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે. આ સાથે મોટો સવાલ એ પણ છે કે કાર્યવાહી બાદ માત્ર દંડ વસૂલવામાં આવે છે કે લાઇસન્સ રદ કરવામાં આવે છે? લાઇસન્સ રદ થયા બાદ પરિવારના અન્ય સભ્યના નામે ફરી લાઇસન્સ મેળવી ધંધો શરૂ કરાતો હોવાના ગંભીર આક્ષેપોની પણ તપાસ જરૂરી બની છે.

માત્ર એક ડબ્બાનું સેમ્પલ કેમ? આરોગ્ય વિભાગ સામે સવાલ

ફરિયાદવાળા ડબ્બા સિવાય દુકાનમાં ઉપલબ્ધ અન્ય તેલના સેમ્પલ કેમ લેવામાં આવ્યા નહીં? જો ખુલ્લા તેલમાંથી પેકિંગ થતું હોવાનો દાવો છે, તો તે તેલના પણ નમૂના લેવાયા કે નહીં તે સવાલ હવે ચર્ચામાં છે. હવે લેબ રિપોર્ટ અને આરોગ્ય વિભાગની આગળની કાર્યવાહી બાદ જ તેલમાં ભેળસેળ હતી કે નહીં અને નિયમોનો ભંગ થયો હતો કે નહીં તેની હકીકત સામે આવશે.   


આ પણ વાંચો  :    Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું