ભાવનગરમાં સામે આવેલા ચર્ચાસ્પદ લઠ્ઠાકાંડના મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ સમગ્ર કેસની ગંભીરતાને ધ્યાને રાખીને SMC ના આઈજી (IG) ગગનદીપ ગંભીર પોતે ગ્રાઉન્ડ લેવલ પર ઉતર્યા છે. તેમણે સતત 10 કલાક કરતા પણ વધુ સમય સુધી કેસની ઊંડાણપૂર્વક અને બારીકાઈથી તપાસ ચલાવી હતી. SMC ની આ સઘન અને આકરી કાર્યવાહીથી સ્થાનિક પોલીસ વહીવટમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે.
પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના નિવેદન નોંધાયા
તપાસ દરમિયાન IG ગગનદીપ ગંભીર દ્વારા વરતેજ પોલીસ મથક અને નીલમબાગ પોલીસ મથકના અધિકારીઓ તેમજ LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) અને SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ના PI, PSI સહિતના તમામ સંબંધિત પોલીસ કર્મચારીઓની કડક પૂછપરછ કરીને તેમના નિવેદનો નોંધવામાં આવ્યા છે. સમગ્ર બનાવમાં સ્થાનિક પોલીસની કોઈ બેદરકારી, ઢીલાશ કે સંડોવણી છે કે કેમ તે તમામ પાસાઓ પર SMC ની ટીમ દ્વારા બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે.
