હિન્દુ ધર્મમાં પ્રકાશના પર્વ તરીકે જાણીતી દિવાળીના દિવસે દીવડા પ્રગટાવવાનું વિશેષ અને ધાર્મિક મહત્વ રહેલું છે. આ પરંપરાને જાળવી રાખીને અને તહેવારની ભવ્યતામાં વધારો કરવાના આશયથી, ભુજ સ્થિત નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય 'દીપોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું હતું.


 નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય દીપોત્સવ

મંદિર પરિસરમાં આયોજિત આ દીપોત્સવ કાર્યક્રમ દરમિયાન લગભગ દોઢ લાખથી વધુ દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. આ દીવડાઓની અદભુત રોશનીથી સમગ્ર ભુજ સ્વામિનારાયણ નૂતન મંદિર પરિસર ઝળહળી ઉઠ્યું હતું, જેના કારણે અહીં અદ્દભુત અને અલૌકિક નજારો જોવા મળ્યો હતો. આ દીપોત્સવના આયોજન પાછળનો મુખ્ય આશય માત્ર બાહ્ય પ્રકાશ ફેલાવવાનો નહોતો, પરંતુ દીવડા રૂપી આ જ્યોત સૌના અંતરમાં પ્રગટે અને આવનારું નવું વર્ષ દરેકના જીવનમાં પ્રકાશ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવો શુભ સંદેશ આપવાનો હતો.

દીવડાઓની હારમાળાથી શોભતું મંદિરનું દ્રશ્ય 

આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો અને ભાવિકોએ ઉપસ્થિત રહીને આ દિવ્ય દીપોત્સવના દર્શન કર્યા હતા. દીવડાઓની હારમાળાથી શોભતું મંદિરનું દ્રશ્ય એટલું મનમોહક હતું કે લોકોએ આ અદ્ભુત નજારાને પોતાના કેમેરામાં કેદ કર્યો હતો. ભુજ સ્વામિનારાયણ મંદિરે દિવાળીના પર્વની ધાર્મિક અને ભવ્ય ઉજવણી કરીને આધ્યાત્મિક વાતાવરણનું નિર્માણ કર્યું હતું.

  • Follow us on: