શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર દ્વારા કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા, વિશિષ્ટ વાઘા શણગાર અને અન્ય સર્જનાત્મક કૃતિઓના કૉપીરાઈટની નોંધણી કરવાના મામલે નવો વિવાદ સામે આવ્યો છે.વર્લ્ડ બાહ્મણ ઓર્ગેનાઈઝેશન ચેરમેન હેમાંગ રાવલે જણાવ્યું હતું કે તાજેતરમાં સાળંગપુર સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દ્વારા ‘કિંગ ઓફ સાળંગપુર' પ્રતિમા, વિવિધ ધાર્મિક પ્રતિકો, નામો, ઓળખ અને સંબંધિત બાબતો માટે કૉપિરાઇટ તથા ટ્રેડમાર્ક મેળવ્યાની જાહેરાત કરાઈ છે.ભગવાન હનુમાન,તેમના પ્રાચીન વિશેષણો,ધાર્મિક પ્રતિકો, મૂર્તિઓ, પ્રસાદ અને સનાતન પરંપરાઓને ખાનગી બૌદ્ધિક સંપત્તિ તરીકે રજૂ કરવાનો કોઈપણ પ્રયાસ સમગ્ર સનાતન હિંદુ સમાજ માટે ચિંતાજનક છે.
કેટલાક ભક્તો નિર્ણયના સમર્થનમાં આવ્યા
યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિર પ્રશાસન દ્વારા લેવાયેલા કોપીરાઈટ અને ટ્રેડમાર્ક સંબંધિત એક નિર્ણયે હાલ રાજ્યભરમાં ભારે ચર્ચા જગાવી છે.બીજી તરફ કષ્ટભંજન દેવના ભક્તો આ નિર્ણયના સમર્થનમાં આગળ આવ્યા છે.ભક્તો અને મંદિરના હિતેચ્છુઓના મતે આ નિર્ણય કોઈ વ્યાપારી હેતુ માટે નહીં પરંતુ ભક્તોની સુરક્ષા માટે અનિવાર્ય હતો.છેલ્લા કેટલાક સમયથી ડિજિટલ પ્લેટફોર્મ પર સાળંગપુર મંદિરના નામે મોટો દુરુપયોગ થઈ રહ્યો હોવાની ફરિયાદો ઉઠી હતી.મંદિરના સત્તાવાર નામનો ઉપયોગ કરીને નકલી ઓનલાઈન પ્લેટફોર્મ ઊભા કરવામાં આવ્યા હતા.ભક્તો પાસેથી ઓનલાઈન પ્રસાદ, વિશેષ ઉતારા, અને દાનના નામે પર્સનલ બેંક એકાઉન્ટ્સમાં પૈસા પડાવવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.













