રાણપુર તાલુકાના જાળીલા ગામેથી ગત મોડી રાત્રે એક યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાથમિક માહિતી અનુસાર, ગામની પાણીની ટાંકી પાસેથી આ મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક યુવકની ઓળખ હર્ષદભાઈ મનજીભાઈ સોલંકી (જાળીલા ગામ) તરીકે થઈ છે. પરિવારજનો પાસેથી મળેલી પ્રાથમિક વિગતો મુજબ, હર્ષદ સોલંકીને ગત રાત્રે કોઈ અજાણ્યા શખ્સોએ ફોન કરીને બહાર બોલાવ્યો હતો. લાંબા સમય સુધી હર્ષદ ઘરે પરત ન ફરતા પરિવારે તેની શોધખોળ આદરી હતી, ત્યારે તેનો મૃતદેહ પાણીની ટાંકી નજીકથી મળી આવ્યો હતો.


રાણપુરમાં યુવકનો મૃતદેહ મળ્યો

મૃતક હર્ષદ સોલંકીના મૃતદેહ પર નિશાનો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આ નિશાનોને આધારે પરિવારજનો મક્કમપણે જણાવી રહ્યા છે કે, હર્ષદની હત્યા કરવામાં આવી છે. રાણપુર તાલુકાનું જાળીલા ગામ, પાણીની ટાંકી પાસે  હર્ષદભાઈ મનજીભાઈ સોલંકીને અજાણ્યા શખ્સોએ ફોન કરીને બોલાવ્યા બાદ હત્યા થઈ હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં જ રાણપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પીએમ (પોસ્ટ મોર્ટમ) માટે બોટાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. પોલીસે હાલમાં અકસ્માત મૃત્યુની નોંધ કરીને હત્યાના એંગલથી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

સમાજના આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા

આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો અને મૃતક હર્ષદના પરિવારજનો બોટાદની સરકારી હોસ્પિટલ ખાતે એકઠા થયા છે. તેઓ યુવકના મૃત્યુ પાછળના સાચા કારણો અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. પોલીસ દ્વારા પીએમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે, જેના આધારે યુવકના મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે અને તે મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

  • Follow us on: