બહુચરાજી તાલુકામાં સરકારી પડતર, ખરાબાની જમીન,ગૌચર, સીમ તળાવ અને ક્યાંક માલિકીની જમીનમાં વહીવટી તંત્રની કોઈપણ જાતની પરવાનગી લીધા સિવાય ઠેર ઠેર ઇંટો પકવવાનો ધિકતો ધંધો ચાલી રહ્યો છે.
ગેરકાયદેસર ઇંટો પકવતા ઈટવાડાના માલિકો માટે રોયલ્ટીની ચોરીની સાથે લોકોના આરોગ્ય ને પણ બહુ મોટુ નુકસાન કરી રહ્યાં છે.બહુચરાજી તાલુકામાં 25થી વધુ ગ્રામ્ય વિસ્તારમાં ઈટવાડા ધમધમી રહ્યા છે.એક સામાન્ય નિયમ મુજબ જે તે તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીની ઇંટવાડા માટે પરવાનગી લેવી ફરજીયાત છે. અને પરવાનગીમાં બતાવ્યા પ્રમાણેનો ઇંટોનો જથ્થો પકવવાનો થાય છે.પરંતુ મોટા ભાગના કિસ્સાઓમાં પરવાનગી લેવામાં આવતી નથી.તો ઘણી જગ્યાએ એક લાખ ઇટો પકવવાની પરવાનગી મેળવી 5 થી 10 લાખ જેટલી ઈટોનું ઉત્પાદન થઈ રહ્યું છે.આ સાથે બહુચરાજી ગ્રામ્ય વિસ્તારોમાં વૃક્ષછેદનની પ્રવૃત્તિ પણ પૂર જોશમાં ચાલી રહી છે. આ તમામ પ્રવૃત્તિઓથી સરકારી તંત્ર વાકેફ્ છે. આમ છતાં તાલુકાના સ્થાનિક અધિકારીઓ મૌન ધારણ કરી બેઠા છે.










