વડોદરાના પાદરામાં બનેલી બ્રિજ દુર્ઘટના બાદ પણ તંત્ર સુધરવાનું નામ લઈ રહ્યું નથી. જ્યાં પૂલ તૂટ્યો હતો ત્યાં અધિકારીઓએ દીવાલ બનાવી દીધી છે. જેના કારણે રેસ્ક્યુ માટેના 3 વાહન અંદર ફસાયા છે. જ્યાં મહી નદી પર બ્રિજ દુર્ઘટના થઈ હતી, તે પૂલ વાહનચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. એક તરફથી વાહનો પસાર ન થાય તે માટે તંત્રએ બ્રિજના છેડે દીવાલ બનાવી દીધી છે. પરંતુ આ નવી દીવાલ બની રહી હતી આ દરમિયાન તંત્ર ભૂલી ગયું કે રેસ્ક્યુ માટે અંદર રહેલા વાહનો બહાર કાઢવાના બાકી છે. તંત્રએ અચાનક દીવાલ બનાવી દેતાં બ્રિજ પર ત્રણ વાહનો ફસાયા છે. એટલે કે આટલી મોટી દુર્ઘટના છતાં આ સરકારી અધિકારીઓમાં ભાન આવ્યું નથી. ત્યારે તંત્રની કામગીરી અને ખરાબ વહીવટ પર સવાલો ઉઠી રહ્યા છે.


[[$googlead]]

મહી નદી પર નવો ટુ લેન બ્રિજ બનાવવા મંજૂરી આપી

મહી નદી પર બ્રિજ નવો બનાવવા માટે સરકારે 212 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતાં. હવે સરકારે એવી જાહેરાત કરી છે કે, મુંજપુર પાસે મહી નદી પર 212 કરોડના ખર્ચે નવો ટુ લેન બ્રિજ બનાવવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપૂર પાસે મહી નદી ઉપર નવો ટુ લેન પૂલ બનાવવા માટેની માર્ગ અને મકાનને વહીવટી મંજૂરી આપી છે. આ પૂર પાદરા અને આંકલાવને જોડશે.દુર્ઘટનાગ્રસ્ત પૂલની સમાંતર બનનારા આ નવા પૂલ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાજેતરમાં સર્વે કરી ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યાં નવો પૂલ બનાવવાની કાર્યવાહી આદરવામાં આવી હતી.એ દરમિયાન અહીં પૂલ તૂટી પડવાની દુર્ઘટના બનતા મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને પરિવહનથી જોડવા ઉપરાંત સ્થાનિકને રોજગારીના પ્રશ્નો, છાત્રોને આવાગમનના પ્રશ્નો સર્જાયા હતા.

[[$alsoread]]

સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને કરાઈ સહાય

તમને જણાવી દઈએ કે પાદરાના ગંભીરા બ્રિજ પર બનેલી દુર્ઘટનામાં 20થી વધુ લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયાં છે. આ ગંભીર દુર્ઘટના બાદ સરકારે મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાની સહાય અને ઈજાગ્રસ્ત થયેલા લોકોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.


  • Follow us on: