ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ઉપદ્રવ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા મુજબ સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોની સંખ્યા વધીને 184 સુધી પહોંચી ગઈ છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી દરરોજ નવા શંકાસ્પદ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. આરોગ્ય તંત્ર દ્વારા સતત સેમ્પલિંગ અને લેબોરેટરી ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ચોંકાવનારી બાબત એ છે કે અત્યાર સુધી કરવામાં આવેલી તપાસમાં કુલ ૩૫ દર્દીઓના રિપોર્ટ સત્તાવાર રીતે પોઝિટિવ આવ્યા છે.
ભોગ બનનાર 22 માસૂમ બાળકો મોતથી ફફડાટ
ચાંદીપુરા વાયરસનો સૌથી ગંભીર અને કાળજું કંપાવી દેનારો પાસું એ છે કે આ રોગનો ભોગ બનનાર તમામ દર્દીઓ નાના માસૂમ બાળકો છે. વાયરસના તીવ્ર હુમલા સામે માસૂમ બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી પડતાં અત્યાર સુધીમાં રાજ્યભરમાં 22 જેટલા બાળકોના કમનસીબ મોત નીપજ્યા છે. એક પછી એક માસૂમ બાળકોના જીવ જતાં સમગ્ર રાજ્યમાં વાલીઓમાં ભારે ભય અને ફફડાટનો માહોલ વ્યાપી ગયો છે. હોસ્પિટલોના બાળ રોગ વિભાગોમાં તબીબો દ્વારા દર્દીઓને બચાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
