અમદાવાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા નવરંગપુરામાં આવેલા ગિરીશ કોલ્ડ્રિંક્સ ચાર રસ્તા પાસે કારચાલકની દાદાગીરીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભૂતકાળમાં પણ વિવાદોમાં આવી ચૂકેલો આદિત્ય રાઠોડ પોતાની GT Mustang કાર લઈને રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો, તે સમયે અકસ્માત સર્જાયો હતો. કાર અથડાયા બાદ પોતાની ભૂલ સ્વીકારવાના બદલે આદિત્ય રાઠોડે સામેવાળા વાહનચાલક સાથે ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી કરીને રસ્તા વચ્ચે જ ધમાલ મચાવી હતી.
લાફા-ફેટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી
આ સમગ્ર ઘટના અંગે પીડિત વાહનચાલક જય દિનેશભાઈ દેસાઈએ પોલીસ સમક્ષ આપવીતી રજૂ કરી હતી. અકસ્માત બાદ આદિત્ય રાઠોડ કારમાંથી નીચે ઉતરીને અચાનક ઉશ્કેરાઈ ગયો હતો અને ઝપાઝપી પર ઉતરી આવ્યો હતો. તેણે ફરિયાદી જય દેસાઈને લાફા-ફેટ મારીને જાહેર રસ્તા પર જાનથી મારી નાખવાની ગંભીર ધમકીઓ આપી હતી. આ ઘટનાને પગલે આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા અને ભોગ બનનારે નવરંગપુરા પોલીસ મથકે પહોંચીને કાયદેસરની રજૂઆત કરી હતી.
