અમદાવાદ શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘરના ઘરનું સપનું બતાવીને પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) ના નામે મોટી છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઠગબાજોએ આવાસ યોજનામાં મકાન અપાવવાની લોભામણી લાલચ આપીને કુલ 65 નિર્દોષ લોકો પાસેથી રૂ. 8.63 લાખની માતબર રકમ પડાવી લીધી હતી. આ કૌભાંડમાં LIG (લો ઈનકમ ગ્રૂપ) કેટેગરીના 27 લોકો પાસેથી રૂ. 5.67 લાખ અને EWS (ઈકોનોમિકલી વીકર સેક્શન) કેટેગરીના 38 લોકો પાસેથી રૂ. 2.96 લાખ ઉઘરાવી લેવાયા હતા.
ફોર્મ ભર્યા વગર બનાવટી પાવતી આપી આચર્યો વિશ્વાસઘાત
આ કૌભાંડની મોડસ ઓપરેન્ડી અત્યંત ચાલાકીપૂર્વકની હતી. આરોપી પંકજ પ્રજાપતિ નામના શખ્સે લોકો પાસેથી નાણાં તો મેળવી લીધા પરંતુ સરકારી ચોપડે ક્યારેય કોઈ સત્તાવાર ફોર્મ ભર્યા નહોતા. તેના બદલે અરજદારોને બોગસ અને બનાવટી પહોંચ (પાવતીઓ) આપીને વિશ્વાસ કેળવવામાં આવ્યો હતો. લાંબા સમય સુધી મકાન ન મળતાં અને રસીદો અંગે શંકા જતાં પીડિતોએ માહિતી અધિકાર (RTI) હેઠળ વિગતો માંગતાં આ આખા કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
