અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ગઈકાલે સાંજે બિલ્ડરનો મૃતદેહ કારમાંથી મળ્યો હતો અને ત્યારબાદ એવી વાત સામે આવી હતી કે, બિલ્ડરની હત્યા કરવામાં આવી છે, તો ઓઢવ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો અને રાજસ્થાનના સિહોરીથી આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે, બિલ્ડરના પૂર્વ સિક્યોરિટી ગાર્ડે આ હત્યા કરી હોવાની વાત સામે આવી છે, અને કોન્ટ્રાક્ટ કીલીંગમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.
રૂપિયાની લેતીદેતીમાં હત્યા કરાઇ હોવાની શંકા
ઓઢવમાં ગઈકાલે સાંજે હત્યા કરેલી હાલતમાં પોલીસને મૃતદેહ મળ્યો હતો અને હત્યારાઓએ હત્યા કરી મૃતદેહ કારમાં છુપાવી દીધો હતો અને રાજસ્થાન જવા નીકળી ગયા હતા, પોલીસે સમગ્ર ઘટનામાં આરોપીઓની રાજસ્થાનથી ધરપકડ કરી છે, સીસીટીવીની મદદથી ગુનાનો ભેદ ઉકેલાયો છે, અને પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડયા છે, રૂપિયાની લેતીદેતીમાં સોપારી આપીને બિલ્ડરની હત્યા થઈ હોઈ શકે છે તેવી પોલીસને આશંકા છે.
હત્યાના 3 આરોપીની રાજસ્થાનથી પોલીસે કરી ધરપકડ
ગઈકાલે રાત્રે વિરાટનગરના બ્રિજ નીચેથી પાટીદાર અગ્રણી બિલ્ડર હિંમતભાઈ રૂડાણીનો મૃતદેહ મળ્યો હતો અને તિક્ષ્ણ હથિયાર વડે તેમની હત્યા કરવામાં આવી હતી, આસપાસના લોકોએ પોલીસને આ બાબતે જાણ પણ કરી હતી અને પોલીસે કારમાંથી મૃતદેહ કાઢીને પીએમ માટે ખસેડયો હતો, આ કેસમાં ઓઢવ પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે, આરોપી હિંમાશું ઉર્ફે રાહુલ હરીશભાઇ રાઠોડ (રહે.હિરાવાડી, ચાર રસ્તા અમદાવાદ), પપ્પુ હિરાજી મેઘવાલ (રહે. જાવલ શીરોહી, રાજસ્થાન) અને ત્રીજા એક આરોપી જે સગીર છે. ત્રણેય આરોપીને રાજસ્થાનના સિરોહી પાસેથી પોલીસે પકડી લીધા છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
અમદાવાદના વિરાટનગરમાં બિલ્ડરની હત્યામાં પૂર્વ ભાગીદાર મનસુખ લાખાણી ઉર્ફે જેકીની સંડોવણી
બિલ્ડર હિંમત રૂડાણીની છરી મારીને હત્યા કરાઈ હતી જેમાં પૂર્વ ભાગીદાર મનસુખ લાખાણી ઉર્ફે જેકીની સંડોવણી સામે આવી છે, મનસુખ લાખાણીએ હત્યાનું કાવતરૂ ઘડ્યું હતું, ઓઢવ પોલીસે મનસુખ લાખાણીની પૂછપરછ કરી હતી, સોપારી આપી હિંમત રૂડાણીની હત્યા કરાવી હતી, વર્ષ 2024માં બંને બિલ્ડર વચ્ચે થયો હતો વિવાદ, મૃતકના પુત્રએ લાખાણીના પુત્ર સામે ફરિયાદ નોંધાવી હતી અને 1.50 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.









