અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે જ એક કરૂણ અને ચકચારી ઘટના સામે આવી છે. પત્ની સ્વાતિ રિસાઈને પિયર જતી રહી હોવાથી, તેને મનાવવા અને સમાધાન કરવા માટે બનેવી રણજીત તેના પરિવારજનો સાથે સાસરે ગયો હતો. સાસરિયામાં અગાઉ નક્કી થયેલી સગાઈ તોડવા બાબતે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિવાદ વધતાં રણજીત અને તેના ભાઈઓ ત્યાંથી નીકળી ગયા હતા, પરંતુ તક જોઈને સાસરિયાના લોકોએ મેટ્રો પિલર પાસે તેમનો રસ્તો રોકીને હુમલો કર્યો હતો.
મેટ્રો પિલર પાસે રસ્તો રોકી ચપ્પુના ઘા ઝીંક્યા
આરોપીઓએ રસ્તો રોકીને જાનથી મારી નાખવાની ધમકી આપી રણજીત પર ચપ્પુ વડે તીક્ષ્ણ હુમલો કર્યો હતો. આ દરમિયાન ભાઈ રણજીતને બચાવવા માટે વચ્ચે પડેલા કરણ અને અમરજીત પર પણ આરોપીઓએ હુમલો કરી ઈજા પહોંચાડી હતી. ગંભીર રીતે ઘવાયેલા રણજીતને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. રક્ષાબંધનના તહેવાર પર જ સાળા-બનેવીના સંબંધનો આ રીતે દર્દનાક અંત આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
