અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલી નકલી નોટોના કેસમાં મહત્વપૂર્ણ ખુલાસા થયા છે, જેના કારણે સમગ્ર રેકેટના આંતરરાષ્ટ્રીય કનેક્શન સામે આવ્યા છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપી પ્રદીપ ગુરુજી જાન્યુઆરી મહિનામાં ચીન ગયો હતો, જ્યાં તે લગભગ પાંચ દિવસ સુધી કરન્સી સિક્યુરિટી પેપર સપ્લાય કરનાર એજન્ટો સાથે રોકાયો હતો.

નકલી નોટોમાં 10થી વધુ સિક્યુરિટી ફીચર્સ સામેલ હતા

તપાસમાં આગળ ખુલ્યું છે કે પ્રદીપે ચીનના ગ્વાંગઝાઉ અને ક્વિંગડાઓ જેવા વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ બંને વિસ્તારોમાંથી જ કરન્સી સિક્યુરિટી પેપર સપ્લાય કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ પેપરનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલી નકલી નોટોમાં 10થી વધુ સિક્યુરિટી ફીચર્સ સામેલ હતા, જેના કારણે આ નોટોને ઓળખવી મુશ્કેલ બની રહી હતી. ક્રાઈમ બ્રાન્ચની તપાસ મુજબ, કરન્સી સિક્યુરિટી પેપરનું એક બોક્સ અંદાજે દોઢ લાખ રૂપિયામાં મગાવવામાં આવ્યું હતું.

આયુષ મંત્રાલયના નામનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો

આ પેપરને સ્ટેશનરી પેપર તરીકે જાહેર કરીને ભારતમાં મગાવવામાં આવતું હતું, જેથી કસ્ટમ ચેકિંગથી બચી શકાય. વધુમાં, અગાઉ પણ ત્રણ વખત આવા પાર્સલો ભારત આવ્યા હોવાનો ખુલાસો થયો છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે કસ્ટમ વિભાગ સાથે સંકલન કરીને આવા તમામ પાર્સલોની વિગતવાર માહિતી મેળવી રહી છે. તપાસ દરમિયાન આયુષ મંત્રાલયના નામનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે, જેના આધારે આરોપીઓ સામે વધુ એક ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સમગ્ર કેસમાં વધુ લોકો સંડોવાયેલા હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા આગળની તપાસ તેજ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદીઓને પડી જશે જલશો, રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો થયો પ્રારંભ