અમદાવાદ શહેરમાં વધુ એક વખત પૈસાની લેતીદેતી મામલે હત્યાની ઘટના સામે આવી છે. શહેરના ઘોડાસર બ્રિજ પાસે એક બિનવારસી લાશ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિક લોકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી અને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.


ઘોડાસર બ્રિજ પાસે મળેલી બિનવારસી લાશનો ભેદ ઉકેલાયો

અમદાવાદના ઘોડાસર બ્રિજ પાસે એક બિનવારસી લાશ મળી આવી છે. લાશ બ્રિજની સાઈડમાં જોવા મળતા લોકો ભેગા થઈ ગયા અને પોલીસને ઘટનાની જાણ કરી હતી, જો કે પોલીસના પ્રાથમિક અંદાજ પ્રમાણે મૃતક છેલ્લા ઘણા દિવસોથી આ વિસ્તારમાં બિનવારસી તરીકે રહેતો હતો. પરંતુ ચોક્કસ ઓળખ અને મોતનું કારણ જાણવા પોલીસે cctvના આધારે તપાસ શરૂ કરી છે, જેમાં આરોપી સગીર હોવાનો ખુલાસો થયો હતો. સગીર અને મૃતક વચ્ચે પૈસાની લેતી દેતી મામલે માથાકૂટ ચાલતી હતી, જેમાં માત્ર 5,000ની માથાકુટમાં આ હત્યા કાંડ ખેલાયો છે.

પોલીસે સગીરની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી

ઈસનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી હત્યાની ફરિયાદમાં આરોપી જુવેનાઈલ જસ્ટીસ બોર્ડ હેઠળ કસ્ટડીમાં છે. આ બનાવ ઘોડાસર બ્રિજ નીચે રવિવારના રોજ બન્યો હતો, આરોપીએ ચાકુથી ગળાના ભાગે હુમલો કરતા મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં મૃતક લઘુમતી કોમનો હોવાનું સામે આવ્યું છે, મૃતક જાવીદ ખાન ઉર્ફે કલ્લુ જમીરખાન પઠાણ છેલ્લા 2-3 વર્ષથી અમદાવાદના અલગ અલગ બ્રિજ નીચે રહેતો હતો. મૃતક અને આરોપી છેલ્લા 6-7 મહિનાથી એકબીજાના સંપર્કમાં હતા. તેમજ મૃતક આરોપી પાસે વારંવાર પૈસા માગ્યા કરતો હતો. જેથી આરોપી પાસે પૈસાની સગવડ ન થતા ગત રવિવારે મૃતકે તેની સાથે ઝઘડો કર્યો અને ઝઘડો એ હદે વધ્યો કે જીવ ગુમાવવનો વારો આવ્યો છે. આમ, નજીવી તકરાર અને નજીવી બાબતે સગીરો હવે ઘાતક થતા જઈ રહ્યા છે, જ્યારે સેવન્થ ડે સ્કૂલના બનાવ બાદ તે જ અઠવાડિયામાં વધુ એક સગીરે એક વ્યક્તિનો જીવ લીધો છે, તે સમાજ માટે પણ એક ચિંતાનો વિષય બન્યો છે.

  • Follow us on: