ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાંથી દારૂના સેવનના કારણે એક વ્યક્તિનું શંકાસ્પદ મોત થયું હોવાની અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. આનંદનગરમાં રહેતા 48 વર્ષીય ભાવેશભાઈ વિસાણી નામના વ્યક્તિનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજતાં પરિવારજનો અને સ્થાનિકોમાં ઘેરા શોકની કાલિમા સાથે ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. જાહેરમાં દારૂબંધી હોવા છતાં આ પ્રકારે બનેલી ઘટનાથી સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે.
મૃતદેહ ફોરેન્સિક PM માટે ખસેડાયો
મૃતકના પરિવારજનોનું સ્પષ્ટ કહેવું છે કે ભાવેશભાઈએ દારૂનું સેવન કર્યું હતું અને ત્યાર બાદ તેમની તબિયત અચાનક લથડતાં આ મોત નીપજ્યું છે. લઠ્ઠાકાંડ કે ઝેરી દારૂના સેવનની આશંકાઓ સેવાઈ રહી હોવાથી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મૃતદેહનો કબજો મેળવી તેને વિધિવત રીતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (FSL PM) માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે.
