ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાંથી દારૂના સેવનના કારણે એક વ્યક્તિનું શંકાસ્પદ મોત થયું હોવાની અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. આનંદનગરમાં રહેતા 48 વર્ષીય ભાવેશભાઈ વિસાણી નામના વ્યક્તિનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજતાં પરિવારજનો અને સ્થાનિકોમાં ઘેરા શોકની કાલિમા સાથે ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. જાહેરમાં દારૂબંધી હોવા છતાં આ પ્રકારે બનેલી ઘટનાથી સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે.

મૃતદેહ ફોરેન્સિક PM માટે ખસેડાયો

મૃતકના પરિવારજનોનું સ્પષ્ટ કહેવું છે કે ભાવેશભાઈએ દારૂનું સેવન કર્યું હતું અને ત્યાર બાદ તેમની તબિયત અચાનક લથડતાં આ મોત નીપજ્યું છે. લઠ્ઠાકાંડ કે ઝેરી દારૂના સેવનની આશંકાઓ સેવાઈ રહી હોવાથી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મૃતદેહનો કબજો મેળવી તેને વિધિવત રીતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (FSL PM) માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે.

LCB PSI સહિતના અધિકારીઓ સિવિલ હોસ્પિટલ દોડી ગયા, તપાસ તેજ

શંકાસ્પદ મોત અંગેની જાણ થતાં જ LCB ના PSI સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ કાફલો તાબડતોબ ભાવનગર સિવિલ હોસ્પિટલ પહોંચી ગયો હતો. પોલીસે પરિજનોની પૂછપરછ હાથ ધરીને જરૂરી કાયદાકીય કાગળો તૈયાર કર્યા છે. ભાવેશભાઈના મોતનું ચોક્કસ કારણ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે તેમ પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે, છતાં આ ઘટનાથી શહેરમાં ગેરકાયદેસર દારૂના વેચાણ સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભો થયો છે.

આ પણ વાંચો : Ahmedabadમાં શિક્ષક દિને શ્રેષ્ઠ ગુરુજનોનું બહુમાન, મેયર હિતેશ બારોટના હસ્તે 27 ઉત્કૃષ્ટ શિક્ષકોને કરાયા સન્માનિત