ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરમાં યુવકને માર મારી મોતને ઘાટ ઉતારી દીધો છે, સાત લોકોએ ભેગા થઈ યુવકને માર માર્યો અને તેની હત્યા કરી હતી, પાલીતાણાના ચેન્નઈ ભુવનમાં માર મારેલા યુવકનું હાર્ટએટેકથી મોત થયું છે તેવી વાત આરોપીઓએ પોલીસને કરી હતી, પરંતુ પેનલ પીએમ રીપોર્ટમાં વાત સામે આવી કે યુવકની હત્યા કરી દેવામાં આવી છે.
પોલીસે 7 આરોપીની ધરપકડ કરી હતી
પાલીતાણા ખાતે એક ધર્મશાળામાં સાત શખ્સોએ એક યુવકને મારમારી, સર ટી. હોસ્પિટલ પહોંચાડયો હતો અને બાદમાં યુવકનું મોત થયું હતું. પરંતુ એક શખ્સે યુવકને હૃદય રોગના હુમલાથી મોત થયાનું પોલીસને જણાવ્યું હતું જે બાદ પોલીસને શંકા જતાં પેનલ પી.એમ. કરાવ્યું હતુ પરંતુ પી.એમ.માં હત્યા થયાનું બહાર આવતા સમગ્ર મામલો બહાર આવતા આ મામલે સાત શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.
આરોપીઓ માર મારીને સારવાર માટે પણ લઈ ગયા હતા
ભાવનગરના પાલીતાણા ખાતે ચેન્નઈ ભુવનમાં મજૂરી કરતા અવિનાશ રાજેસસિંગ નામના યુવકને ત્રણથી ચાર લોકો રિક્ષામાં સુવડાવી આઠેક દિવસ અગાઉ ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને અવિનાશને હૃદયરોગનો હુમલો આવ્યો હોવાનું તબિબોને જણાવ્યું હતું પરંતુ સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું. જે બાદ સર ટી. હોસ્પિટલ ખાતે પોલીસ ચોકીના અધિકારીઓને રાજુ અજીતભાઈ રાઠોડ નામના શખ્સે જણાવ્યું હતું કે, સોનગઢ બસસ્ટેન્ડ ખાતે અવિનાશને હૃદય રોગના હુમલો આવતા તેમને રિક્ષામાં સુવડાવી હોસ્પિટલ પહોંચાડયો હોવાનું લખાવ્યું હતું.
મૃતકને હાથના ભાગે ઈજાના નિશાન પહોંચ્યા હતા
સોનગઢ પોલીસે અકસ્માતે મોત થયાની નોંધ પણ કરી લીધી હતી, પરંતુ સોનગઢ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ મૃતક યુવકના શરીરે ઈજાઓ જોતા પેનલ પી.એમ. કરાવાતા યુવકની હત્યા થઈ હોવાનું બહાર આવતા પોલીસે આરોપીઓને ઝડપ્યા છે, તપાસના અંતે આજે રાજુ અજીતભાઈ રાઠોડ, સોનુ, સાહિલ, ચૈનસિંગ ઉર્ફે અર્જુન પટેલ, મહમદ આઝાદ ઉર્ફે જય દિક્ષીત, ગંગેશકુમાર ઉર્ફે પ્રદિપ શ્રીરામપ્રકાશ દોહરે, વિજય બાબુલાલ પ્રજાપતિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે સોનગઢ પોલીસની પી.આઈ. સોલંકીએ જણાવ્યું હતું કે, આરોપીએ રાજુ રાઠોડે યુવકને બસ સ્ટેન્ડમાં હૃદય રોગના હુમલાથી કહ્યું હતું જે આધારે બસ સ્ટેન્ડ તેમજ તેના કોલ ડિટેઇલ્સની જાણકારી મેળવતા લોકેશનો જુદા જુદા મળ્યા હતા.
પાલીતાણા પોલીસે નોંધ્યો હત્યાનો ગુનો
મૃતક યુવકને રિક્ષામાં લઇ જનાર રિક્ષા ચાલકને પકડી લઈ આકરી પૂછતાછ કરતા તમામ આરોપી સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી હતી. શાકભાજી કાપવાના પાટલા, ધોકા અને ઢીકાપાટુથી યુવકની કરપીણ હત્યા કરી આઠ દિવસ અગાઉ ચેન્નઈ ભુવન નજીક અવિનાશ ઉર્ફે ડાયમંડ અને અનીલ સાવંતનો ઝઘડો થયો હતો. અને અવિનાશે અનિલ સાવંતને મોઢાના ભાગે પથ્થર ઝીંકી ઈજા કરી હતી. જેની દાઝ રાખી સાતેય શખ્સોએ અવિનાશના શરીરે આડેધડ ગંભીર મારમારી કરી હત્યા કર્યાનું આરોપીએ પૂછપરછમાં કબુલ્યું હતું.