દાહોદ જિલ્લાના લીમખેડા સ્થિત હડફ નદી પર આવેલા આશરે 60 વર્ષ જૂના બ્રિજના રિપેરીંગ કામમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની આશંકા સેવાઈ રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આ બ્રિજના રિપેરીંગ માટે ગયા વર્ષે રૂ. 76 લાખ અને આ વર્ષે રૂ. 80 લાખનો મસમોટો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આમ છતાં, કોન્ટ્રાક્ટર દ્વારા અત્યંત હલકી ગુણવત્તાનું કામ ચલાવવામાં આવી રહ્યું હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. બ્રિજની જૂની પેરાફેટના કટાઈ ગયેલા જૂના સળિયા પર જ નવી પેરાફેટ બાંધી દેવામાં આવી રહી છે, જે તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગત તેમજ મોટા ભ્રષ્ટાચાર તરફ ઈશારો કરે છે.

સેફ્ટી સાધનો વગર કામ અને જાહેરનામાના સરેઆમ ધજાગરા

રિપેરીંગ કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા સુરક્ષાના નીતિ-નિયમો નેવે મૂકી દેવાયા છે. અહીં કામ કરતા મજૂરોને સેફ્ટીના કોઈ પણ સાધનો આપ્યા વગર જોખમી રીતે કામ કરાવવામાં આવી રહ્યું છે, જે કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી દર્શાવે છે. આ ઉપરાંત, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બ્રિજ પર અવરજવર બંધ કરવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હોવા છતાં તેનો ખુલ્લેઆમ અનાદર થઈ રહ્યો છે. બ્રિજ બંધ હોવા છતાં લોકો જીવના જોખમે વીજ વાયરો પર ચાલીને પસાર થવા મજબૂર બન્યા છે.

જનરોષ અને ઉચ્ચ સ્તરીય તપાસ સાથે કડક કાર્યવાહીની માગ

માર્ગ અને મકાન (સ્ટેટ) વિભાગની ઘોર અણઆવડત અને કોન્ટ્રાક્ટરની લાપરવાહીના કારણે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. જો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી કોની રહેશે તેવા તીખા સવાલો સ્થાનિકો ઉઠાવી રહ્યા છે. લોકોની સુરક્ષા સાથે થઈ રહેલા આ ખિલવાડ સામે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર મામલે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ કમિટી નીમવામાં આવે અને દોષિત અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર સામે કડક કાનૂની પગલાં ભરવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.

આ પણ વાંચો : Surat News : કામરેજ સુગર ફેક્ટરીમાં સહકાર પેનલનો વિજય, પણ વિજેતા ઉમેદવાર ઉત્સાહમાં ભાન ભૂલ્યા