મહેસાણામાં ચર્ચસ્પદ ભાવેશ ઝીલિયા હુમલા અને ફાયરિંગ કેસમાં મહેસાણા પોલીસે મોટી સફળતા મેળવતા 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ હુમલા પાછળ વર્ચસ્વની લડાઈ અને જૂની અદાવત જવાબદાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. વામૈયા ઝગડા બાદ ભાવેશ ઝીલિયાનું અસ્તિત્વ સંપૂર્ણપણે ખતમ કરવા અને વિસ્તારમાં પોતાની કટોસણ ગેંગનું વર્ચસ્વ મજબૂત બનાવવાના હેતુથી આ ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આ કેસમાં મહેસાણા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિનુભા ઝાલાના પુત્ર યુવરાજસિંહ ઉર્ફે ગગુભા ઝાલા સહિતના આરોપીઓની સંડોવણી ખુલ્લી પડી છે.
3 મહિનાથી થતી હતી રેકી
પોલીસ તપાસમાં થયેલા ખુલાસા મુજબ, આરોપીઓ છેલ્લા ત્રણ મહિનાથી ભાવેશ ઝીલિયાની ગતિવિધિઓ પર સતત રેકી કરી રહ્યા હતા. આ સમગ્ર કૌભાંડનો માસ્તરમાઇન્ડ જોરાવરસિંહ હોવાનું બહાર આવ્યું છે. તમામ આરોપીઓ રોજ સાંજે એકઠા થઈને ગાંજો પીતા હતા અને તે મહેફિલ દરમિયાન જ ભાવેશ ઝીલિયા અને તેની ગેંગનું અસ્તિત્વ મિટાવી દેવાનો માસ્ટરપ્લાન તૈયાર કરતા હતા. પોલીસે આ મામલે યુવરાજસિંહ ઉર્ફે કંટ્રોલ સોલંકી, શક્તિસિંહ ઉર્ફે લાલો ઝાલા, આર્યન પટેલ, દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા ઝાલા, દેવેન્દ્રસિંહ ઉર્ફે દેવુભા ઝાલા અને યુવરાજસિંહ ઉર્ફે ગગુભા ઝાલાની અટકાયત કરી છે.
