મહેસાણા શહેરના વિસનગર રોડ પર આવેલી તક્ષશીલા સોસાયટીમાં રહેતા મહિલા હોમિયોપેથી ડોક્ટર અને તેમના પરિવારજનો પર પાડોશીઓ દ્વારા ઉગ્ર ઝઘડો કરી હુમલો કરવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. તક્ષશીલા સોસાયટીમાં રહેતા મહિલા હોમિયોપેથી ડોક્ટર જયાબેન અશોકભાઈ પરમાર અને તેમના પરિવાર સાથે સોસાયટીના આંતરિક વિવાદ મુદ્દે સામા પક્ષના પાડોશીઓએ અદાવત રાખીને સરેઆમ ગાળાગાળી કરી હુમલો કર્યો હતો. આ બનાવને પગલે શાંત ગણાતી સોસાયટીમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.

ઘરમાં બળજબરીથી પ્રવેશી માર માર્યો

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, સોસાયટીના જૂના વિવાદની અદાવતમાં સામા પક્ષના લોકોએ મહિલા ડોક્ટર જયાબેનના ઘરમાં બળજબરીપૂર્વક પ્રવેશ કર્યો હતો. હુમલાખોરોએ પરિવારના સભ્યો સાથે અત્યંત અમાનવીય વર્તન કરીને ઝપાઝપી કરી હતી અને જાનથી મારી નાખવાની ખુલ્લેઆમ ધમકીઓ આપી હતી. આ હુમલા દરમિયાન ફરિયાદી જયાબેનના પતિ અને ભાઈને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ ઈજાગ્રસ્ત બંને સ્વજનોને ત્વરિત ઈમરજન્સી સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

112 પર કોલ કરતાં પોલીસ દોડી આવી

ઘટના સમયે પીડિત પરિવાર દ્વારા કંટ્રોલ રૂમ 112 નંબર પર ઇમરજન્સી કોલ કરવામાં આવતાં જ મહેસાણા પોલીસનો કાફલો તુરંત બનાવ સ્થળે દોડી આવ્યો હતો અને સ્થિતિ કાબૂમાં લીધી હતી. આ સમગ્ર મામલે મહિલા ડોક્ટરની ફરિયાદના આધારે મહેસાણા એ-ડિવિઝન પોલીસે સામા પક્ષના 7 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. પોલીસે સોસાયટીના રહીશોના નિવેદનો નોંધવાની સાથે આરોપીઓની અટકાયત કરવા માટેની કાયદાકીય તજવીજ તેજ કરી છે.

આ પણ વાંચો : Ahmedabad News : 100 ટોલ પ્લાઝા પર નકલી એપથી ગેરકાયદે વસૂલી! દેશભરમાં 14 સ્થળે EDના દરોડા, રૂ.1 કરોડથી વધુની રોકડ જપ્ત